બનાસકાંઠા જિલ્લો હંમેશાં તેની પશુપાલન સંસ્કૃતિ માટે જાણીતો રહ્યો છે.પરંતુ તાજેતરમાં ધાનેરા તાલુકામાંથી ગૌસેવા અને માનવતાનું એક એવું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે જેને જોઈને સૌ કોઈ કામગીરીને બિરદાવી રહ્યાં છે.ધાનેરાના એક ખેડૂતે ઉનાળાની આ કપરી સીઝનમાં રખડતા અને નિરાધાર પશુઓની વહારે આવીને પોતાનો કિંમતી પાક ગૌમાતાને અર્પણ કરી દીધો છે. પાંચ વિઘામાં વાવેલી લીલીછમ બાજરીનો પાક ગાયને ચરવા માટે ખુલ્લો મુકી દીધો છે.
ઘાસચારા વિના ભટકતી ગાયોની દયનીય સ્થિતિ
ધાનેરા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ તરક નામના પ્રગતિશીલ ખેડૂતે તેમના ખેતરમાં રાત-દિવસ એક કરીને પાંચ વીઘા જમીનમાં બાજરીનું વાવેતર કર્યું હતું.હાલ એકદમ લીલોછમ બાજરીનો પાક તૈયાર થઈ ગયો હતો.સામાન્ય રીતે ખેડૂત આ સમયે પાકની કાપણી કરીને તેને બજારમાં વેચીને કમાણી કરતો હોય છે.પરંતુ પ્રકાશભાઈએ બજારમાં અને રસ્તાઓ પર ઘાસચારા વિના ભટકતી ગાયોની દયનીય સ્થિતિ જોઈને એક અત્યંત પ્રશંસનીય અને માનવતાભર્યો નિર્ણય લીધો છે.તેમણે લાખો રૂપિયાની કિંમતનો આ તૈયાર પાક વેચવાને બદલે રખડતી ગાયો માટે પોતાના ખેતરના દરવાજા હંમેશા માટે ખોલી દીધા છે.
