ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના ટંકારી ભાગોળ વિસ્તારમાં એક 65 વર્ષીય વૃદ્ધે અગમ્ય કારણોસર એસિડ પી લેતા તેમનું મોત નીપજ્યું છે. મૃતક મૂળ રાજકોટના વતની હોવાનું જાણવા મળ્યું છે.
એસિડ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ
મળતી માહિતી મુજબ, છગનભાઇ મોહનભાઈ નામના 65 વર્ષીય આધેડે જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં એસિડ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ જંબુસર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગંભીર હાલતમાં રહેલા છગનભાઇને સારવાર અર્થે જંબુસરની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
વડોદરા ખાતે ટૂંકી સારવાર બાદ મોત
વૃદ્ધની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.જંબુસર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા મૃતક છગનભાઇના પરિવારજનોની શોધખોળ આદરી હતી. પરિવારનો સંપર્ક થયા બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવી વાલીવારસોને સોંપ્યો છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આત્મહત્યા પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાત બન્યું દેશનું સેમિકંડકટર હબ, PM નરેન્દ્ર મોદી આજે સાણંદમાં સેમિકંડકટર ATMP સુવિધાનું ઉદ્ઘાટન કરશે