ભરૂચના આમોદનગરમાં ગત રોજ મોડી રાત્રે એક યુવાનની કરપીણ હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રેમસંબંધની આંતરિક અદાવતમાં ઉશ્કેરાયેલા હુમલાખોરે એક યુવક પર ચપ્પુ વડે તૂટી પડીને તેને લોહીલુહાણ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે, જ્યારે નગરમાં તંગદિલીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.

સમગ્ર વિવાદ અને હત્યા પાછળનું કારણ

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ હત્યા પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર છે. મૃતક યુવાન મહેબૂબ મહિડા ઉર્ફે લાલા (ઉંમર વર્ષ આશરે 25 થી 30) ના કૌટુંબિક ભાઈની પત્નીને હત્યારાના ભાઈ સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતની ચાલતી આંતરિક અદાવત અને બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. જેમાં સાહીલ રણજિત ચૌહાણ નામના યુવાને મહેબૂબ મહિડા પર ચપ્પુ વડે હિંસક હુમલો કરી દીધો હતો. સાહીલે મહેબૂબના ગળાના ભાગે તેમજ શરીરના અન્ય અંગો પર ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે અતિશય લોહી વહી જતાં મહેબૂબનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

 પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પકડ્યો

હત્યાની આ ઘટના વાયુવેગે પ્રસરતા જ આમોદનગર હોસ્પિટલ ખાતે સ્થાનિક લોકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓના મોટા ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે ગોઠવી દેવાયો હતો. ભરૂચ એસ.પી.ની સૂચનાથી ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને આમોદ પોલીસની અલગ-અલગ ટીમો હત્યારાને પકડવા દોડતી થઈ હતી.

ઘટનાસ્થળનું રિકન્સ્ટ્રક્શન' પણ કર્યું

પોલીસે આધુનિક હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સાહીલ રણજિત ચૌહાણની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કર્યા બાદ પોલીસે ગુનાની ગંભીરતાને જોતા કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આરોપીને સાથે રાખીને ઘટનાસ્થળનું 'વિક્રેશ રિકન્સ્ટ્રક્શન' પણ કર્યું હતું. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કડક વહીવટી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Amreli: વડિયા પંથકમાં પશુઓમાં રહસ્યમય રોગચાળો, પશુચિકિત્સકોની ટીમો દ્વારા બ્લડ સેમ્પલ લેવાયા