ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા રાજપારડી ગામે આજે ગ્રામજનોનો આક્રોશ રસ્તા પર જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તાની સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિકોએ આજે સવારથી જ 'રસ્તા રોકો આંદોલન' શરૂ કરી વાહન વ્યવહાર થંભાવી દીધો હતો, જેના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
ટેકનોલોજી નિષ્ફળ, હાલાકી યથાવત
ઝઘડિયાથી એકતાનગર (કેવડિયા) ને જોડતો આ મહત્વનો માર્ગ નવી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો હોવાના દાવા કરાયા હતા, પરંતુ આ માર્ગ અત્યારે લોકો માટે આફત સમાન બન્યો છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે અને ભારે વાહનોની અવરજવરને કારણે ઉડતી ધૂળની ડમરીઓથી લોકોનું જીવવું દુષ્કર બન્યું છે. ધૂળને કારણે વાહનચાલકોને દેખાતું ન હોવાથી અકસ્માતનો ભય રહે છે અને લોકો સ્વાસ્થ્યના જોખમે રોંગ સાઈડ ચલાવવા મજબૂર બન્યા છે.
તંત્રની નિષ્ક્રિયતા સામે ઉગ્ર વિરોધ
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ માર્ગ મુદ્દે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. અંતે કંટાળેલા લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંદોલનની જાણ થતા જ રાજપારડી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લોકોને સમજાવી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકોની માગ છે કે, જ્યાં સુધી રસ્તાનું કાયમી નિરાકરણ નહીં આવે અને ધૂળની સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે.









