ભાવનગર મહાનગરપાલિકાના નગરસેવકોની પાંચ વર્ષની ટર્મ આજે પૂર્ણ થતાં હવે મનપામાં વહીવટદાર શાસન લાગુ પડ્યું છે. કાર્યકાળ પૂર્ણ થતાં શહેરના અનેક વિકાસ કાર્યો અધૂરા રહી ગયા હોવાની ચર્ચા ઉઠી છે અને સ્થાનિક લોકો દ્વારા આ કામો ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
હજુ પણ કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટો અધૂરા
પાંચ વર્ષ પહેલા મનપાના શાસકો દ્વારા શહેરના વિકાસ માટે અનેક મોટા પ્રોજેક્ટોની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ લોકોના જણાવ્યા મુજબ હજુ પણ કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટો અધૂરા છે. જેમાં કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ, રવેચી ધામ રૂવા ડેવલપમેન્ટ, અકવાડા લેક-2 વિકાસ, ઓવરબ્રિજ પાસે જમીન સંપાદન તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં ખોદાયેલા રસ્તાઓના રિપેરિંગ જેવા કામો હજુ પૂર્ણ થયા નથી.
ચૂંટાયેલા પ્રતિનિધિઓએ હજુ ઘણા કામો અધૂરા રાખ્યા
સ્થાનિક લોકોનું કહેવું છે કે વિકાસના વાયદાઓના આધારે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ હજુ ઘણા કામો અધૂરા રાખ્યા છે. લોકોનું માનવું છે કે શહેરના મહત્વપૂર્ણ પ્રોજેક્ટો ઝડપથી પૂર્ણ થવા જોઈએ જેથી નાગરિકોને સુવિધા મળી શકે.
અંદાજે 1286 કરોડના પ્રોજેક્ટો પૂર્ણ થયા છે
આ મુદ્દે મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પ્રતિસાદ પણ સામે આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં મનપાના શાસકો દ્વારા શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ કામો કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર પાંચ વર્ષમાં કુલ 3611 નાના-મોટા વિકાસ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે, જેમાં અંદાજે રૂ. 1286 કરોડના પ્રોજેક્ટો પૂર્ણ થયા છે.
હાલમાં પણ 246 પ્રોજેક્ટો પર કામ ચાલી રહ્યું છે
આ ઉપરાંત હાલમાં પણ 246 પ્રોજેક્ટો પર કામ ચાલી રહ્યું છે, જેના અંદાજિત ખર્ચ રૂ. 1365 કરોડ જેટલો છે. તેમણે ઉમેર્યું હતું કે શહેરમાં પી.એમ. ઈ-બસ સેવા શરૂ કરવામાં આવી છે અને કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ પણ લગભગ 90 ટકા પૂર્ણ થવા આવ્યું છે. સાથે જ ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ પર પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો--- Gandhinagar : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે ઉમેદવારીનું ગણિત સંપૂર્ણ બદલાઈ શકે