ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના આપઘાત કેસમાં સ્થાનિક અદાલતે મોટો ચુકાદો આપ્યો છે. મૃતક હેડ કોન્સ્ટેબલે PSI બી.કે. ગોસ્વામીના કથિત માનસિક ત્રાસથી કંટાળીને ચાલુ ફરજ દરમિયાન ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બાદ મૃતકના પિતાએ PSI વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ધરપકડની ભીતિ જણાતા PSI ગોસ્વામીએ ભાવનગર કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ મંજૂર કરી છે.
હેડ કોન્સ્ટેબલ આપઘાત પ્રકરણ
આ કેસમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, PSI બી.કે. ગોસ્વામી દ્વારા અવારનવાર હેડ કોન્સ્ટેબલને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતા હતા, જેના કારણે તેઓ ભારે તણાવમાં રહેતા હતા. કોન્સ્ટેબલના આપઘાત બાદ સમગ્ર પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી હતી અને શિસ્તબદ્ધ ગણાતા પોલીસ ખાતાની છબી પણ ખરડાઈ હતી. જોકે, કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આરોપી PSI ને ધરપકડ સામે રક્ષણ મળતા હવે આ કેસમાં પોલીસની તપાસ કઈ દિશામાં આગળ વધે છે તે જોવું રહ્યું. કોર્ટના આ નિર્ણયથી હાલ પૂરતી PSI ની ધરપકડ ટળી ગઈ છે.













