આ તકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પાલીતાણા તાલુકામાં આવેલ નાનીમાળ ગામલોકોએ 12 જયોર્તિલિંગના દર્શન કરવા માટે દૂર જવાની જરૂર નથી. 12 જયોર્તિલિંગના દર્શન કરવાનો લ્હાવો ગામમાં જ મળી રહે છે.
આ મંદિરો આશરે 25 વર્ષ પહેલા નિર્માણ પામ્યા હતા
નાયબ મુખ્યમંત્રીએ યુવાનોને ખરાબ આદતોથી દૂર રહેવા અને નશામુક્ત સમાજના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવા સાથે આગળ વધવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. આ તકે આગેવાન મહેશભાઈ સવાણી અને મુકેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતુ. પાલીતાણાની તળેટીમાં આવેલું નાનીમાળ ગામ વિવિધ સમાજના લોકો એકતા અને સૌહાર્દથી રહેતું ગામ છે. આશ્રમ પરિસરમાં કુલ ૧૭ મંદિરો આવેલ છે. આ મંદિરો આશરે ૨૫ વર્ષ પહેલા નિર્માણ પામ્યા હતા.
આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું
સમયાંતરે મંદિરો જર્જરિત થઈ જતા, તેમના જીર્ણોદ્ધાર (નવનિર્માણ)નો વિચાર ૩ વર્ષ પૂર્વે મુકેશભાઈ મનજીભાઈ પટેલ દ્વારા મુકવામાં આવ્યો હતો. આશ્રમમાં ૧૨ શિવાલયોના જીર્ણોદ્ધાર સાથે અન્ય દેવસ્થાનોનું પણ પુનઃનિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. આ મંદિરોમાં સ્થાપિત દેવતાઓ શ્રી સોમનાથ મહાદેવ, શ્રી મલ્લિકાર્જુન મહાદેવ, શ્રી મહાકાલ મહાદેવ, શ્રી ઓમકારેશ્વર મહાદેવના પૂજા અર્ચના અને દર્શન કરી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધન્યતા અનુભવી હતી તેમજ આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું.
30 કિલોમીટર વિસ્તારમાંથી ભક્તો દર્શન માટે આવે છે
આશ્રમના સ્થાપક ગુરુ વિજયગીરી બાપુએ નાનીમાળ ગામનું નામ સાર્થક થાય તે માટે નાના મંદિરોની “માળ” રચવાની કલ્પના વ્યક્ત કરી હતી, જે કાર્ય આજે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. કૈલાશધામ મંદિર નાનીમાળ ગામના દરેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. આશ્રમમાં આજુબાજુના ૩૦ કિલોમીટર વિસ્તારમાંથી ભક્તો દર્શન અને પૂજા અર્ચના કરવા આવે છે. દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ પર આશરે ૨૦,૦૦૦ થી વધુ ભક્તો દર્શન માટે આવે છે. આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ ભાઈ સોલંકીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વ ગૌતમભાઈ ચૌહાણ, હીરાભાઈ સોલંકી, ભીખાભાઈ બારૈયા, આગેવાન કેશુભાઈ નાકરાણી, દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Ahmedabad News : આ પાણીપુરી ખાધી તો બિમાર પડવાનું નક્કી, સડેલા બટેકા અને ગંદકી વચ્ચે બને છે મસાલેદાર પાણી, વાંચો Exclusive Story