ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી મોતીતળાવ ઝીરો નંબરની શેરીમાં એક ગંભીર મારામારીની ઘટના સામે આવી છે. શેરીમાં કેટલાક શખ્સો દ્વારા અપશબ્દો બોલવામાં આવતા, ત્યાં હાજર રહેતા એક પરિવારે તેમને આમ કરવાની ના પાડી ઠપકો આપ્યો હતો. આ મામૂલી ટકોરને કારણે ઉશ્કેરાયેલા પાંચ લોકોએ હિંસક હુમલો કર્યો હતો.
હુમલાખોરોએ પાઇપ અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, અપશબ્દો બોલવાની ના પાડતાં રોષે ભરાયેલા ત્રણ યુવક અને બે યુવતી સહિત કુલ પાંચ લોકોએ મળીને માર માર્યો હતો. ભોગ બનનાર પરિવારે આક્ષેપ કર્યો છે કે, હુમલાખોરોએ પાઇપ અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો, જેના કારણે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ગંભીર મારામારી અંગે ભોગ બનનાર પરિવાર દ્વારા બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.










