બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઉત્તરાયણના પર્વ પર થયેલી સામાન્ય બાબતની તકરારે હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના ખાટકીવાડ વિસ્તારમાં એક જ કોમના બે જૂથો વચ્ચે મોટરસાયકલ પાર્ક કરવા જેવી નજીવી બાબતે થયેલી મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા અહેમદભાઈ તરકવાડીયાનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પોલીસે હવે ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉત્તરાયણના પર્વ પર તકરાર
ગત 14 જાન્યુઆરી, એટલે કે મકરસંક્રાંતિના દિવસે ગઢડાના ખાટકીવાડ વિસ્તારમાં આ વિવાદ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, દુકાન પાસે બાઇક પાર્ક કરવા જેવી તદ્દન સામાન્ય બાબતે બે પક્ષો સામસામે આવી ગયા હતા. વાત એટલી હદે વણસી ગઈ હતી કે બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક મારામારી શરૂ થઈ હતી. આ અથડામણમાં અહેમદભાઈ તરકવાડીયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.










