છોટાઉદેપુર જિલ્લામાં પશુપાલન વિભાગની એક ગંભીર બેદરકારી સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા પશુઓની ત્વરિત સારવાર માટે શરૂ કરવામાં આવેલી 'ફરતું પશુ દવાખાનું' (એમ્બ્યુલન્સ) સેવા હાલમાં માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લાની કુલ 24 માંથી 20 એમ્બ્યુલન્સ છેલ્લા 8 મહિનાથી વિવિધ સારવાર કેન્દ્રો પર ધૂળ ખાઈ રહી છે.


છોટાઉદેપુર જિલ્લામાં પશુપાલન વિભાગની બેદરકારી

મળતી માહિતી મુજબ, ઈ એમ આર આઈ (EMRI) ગ્રીન હેલ્થ સર્વિસ અંતર્ગત ત્રણ વર્ષ પહેલાં આ સેવા શરૂ કરવામાં આવી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી યોગ્ય વ્યવસ્થાપનના અભાવે પશુ ડોક્ટરો અને ડ્રાઈવરો મોટી સંખ્યામાં નોકરી છોડીને ચાલ્યા ગયા છે. સ્ટાફના અભાવે આ મોંઘીદાટ એમ્બ્યુલન્સો ચલાવનાર કોઈ નથી, જેને કારણે પશુઓને સમયસર સારવાર મળવી મુશ્કેલ બની છે.

અધિકારીની કબૂલાત

આ બાબતે જિલ્લા નાયબ પશુપાલન નિયામક સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે સ્વીકાર્યું હતું કે, હાલમાં સમગ્ર જિલ્લામાં માત્ર 4 એમ્બ્યુલન્સ જ કાર્યરત છે. બાકીની 20 ગાડીઓ સ્ટાફ ન હોવાને કારણે બંધ હાલતમાં પડી રહી છે.

પશુપાલકોની હાલાકી

છોટાઉદેપુર જિલ્લો પશુપાલન પર નિર્ભર છે. અંતરિયાળ વિસ્તારમાં જ્યારે કોઈ પશુ બીમાર પડે કે અકસ્માત થાય ત્યારે આ એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ સાબિત થતી હતી. પરંતુ છેલ્લા 8 મહિનાથી આ સેવા ખોરવાતા પશુપાલકોએ ખાનગી તબીબોને મોંઘી ફી આપીને બોલાવવા પડે છે અથવા પશુઓને જીવ ગુમાવવો પડે છે.

આ પણ વાંચો: Anand: બોરસદ રોડ પર કાળમુખી XUV કારે બાઈક સવાર બે યુવકોને કચડ્યા, મજૂરી કામથી ઘરે જતી વખતે સર્જાયો અકસ્માત

  • Follow us on: