છોટાઉદેપુર જિલ્લાના સુસ્કાલ ગામેથી હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. ઓરસંગ નદીમાંથી લાવેલી રેતી ધોવા (વોશિંગ) માટે બનાવેલા કૂવામાં ઉતરેલા એક સગીર શ્રમિકનું વીજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાએ મીરા એન્ટરપ્રાઇઝના માલિકની ગંભીર બેદરકારી અને બાળમજૂરીના કડવા સત્યને ઉજાગર કર્યું છે.


બેદરકારીએ લીધો માસૂમનો જીવ

મળતી માહિતી મુજબ, મીરા એન્ટરપ્રાઇઝમાં રેતી વોશિંગના કૂવામાં જામી ગયેલી માટી સાફ કરવા માટે ત્રણ ભાઈઓ ઉતર્યા હતા. આ ત્રણમાંથી બે સગીર હતા. કૂવામાં ઉતરતી વખતે શ્રમિકો પાસે કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો નહોતા. કૂવાની આસપાસ અને અંદર વીજ વાયરોમાં ઠેર-ઠેર ટેપિંગ મારેલું હતું અને અનેક વાયરો લટકતી હાલતમાં હતા. આ દરમિયાન અચાનક વીજ કરંટ લાગતા એક સગીર ભાઈનું મોત થયું હતું, જ્યારે અન્ય બે ભાઈઓનો આબાદ બચાવ થયો હતો.

પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

મૃતક સગીર પંચમહાલ જિલ્લાના ગુસર નવી વસાહતનો વતની હતો. પુત્રના મોત સમાચાર મળતા જ પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારે આરોપ લગાવ્યો છે કે સ્ટોક માલિકની ઘોર બેદરકારી અને લટકતા વીજ વાયરોને કારણે તેમના દીકરાએ જીવ ગુમાવ્યો છે. ઘટનાને 24 કલાક વીતી ગયા હોવા છતાં, પરિવારે જ્યાં સુધી યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. હાલ મૃતદેહ પીએમ (Post-Mortem) રૂમમાં રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Amreli: સાવરકુંડલામાં સસ્તા અનાજનું કૌભાંડ પકડાયું, ઘઉં અને ચોખાના 42 કટ્ટા જપ્ત


  • Follow us on: