છોટાઉદેપુર જિલ્લાના સુસ્કાલ ગામેથી હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. ઓરસંગ નદીમાંથી લાવેલી રેતી ધોવા (વોશિંગ) માટે બનાવેલા કૂવામાં ઉતરેલા એક સગીર શ્રમિકનું વીજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાએ મીરા એન્ટરપ્રાઇઝના માલિકની ગંભીર બેદરકારી અને બાળમજૂરીના કડવા સત્યને ઉજાગર કર્યું છે.
બેદરકારીએ લીધો માસૂમનો જીવ
મળતી માહિતી મુજબ, મીરા એન્ટરપ્રાઇઝમાં રેતી વોશિંગના કૂવામાં જામી ગયેલી માટી સાફ કરવા માટે ત્રણ ભાઈઓ ઉતર્યા હતા. આ ત્રણમાંથી બે સગીર હતા. કૂવામાં ઉતરતી વખતે શ્રમિકો પાસે કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો નહોતા. કૂવાની આસપાસ અને અંદર વીજ વાયરોમાં ઠેર-ઠેર ટેપિંગ મારેલું હતું અને અનેક વાયરો લટકતી હાલતમાં હતા. આ દરમિયાન અચાનક વીજ કરંટ લાગતા એક સગીર ભાઈનું મોત થયું હતું, જ્યારે અન્ય બે ભાઈઓનો આબાદ બચાવ થયો હતો.










