દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાનું પીપલોદ ગામ આજે પણ આઝાદીના દાયકાઓ પછી એક સુરક્ષિત ઓવરબ્રિજ માટે વલખાં મારી રહ્યું છે. પીપલોદ ગામની મુખ્ય બજાર નજીક આવેલી જૂની રેલવે ફાટક હાલમાં દાહોદ જિલ્લાની સૌથી ગંભીર સમસ્યાઓમાંથી એક બની ચૂકી છે. આ ફાટક પરથી રોજ હજારો લોકો કાળનો સામનો કરીને પસાર થાય છે.


વિદ્યાર્થીઓ અને શ્રમિકો માટે રોજનો એગ્ઝામ

પીપલોદ આસપાસના અંદાજે 60 થી 70 ગામોનું મુખ્ય કેન્દ્ર હોવાથી, આસપાસના વિસ્તારોમાંથી રોજ 2800 થી વધુ વિદ્યાર્થીઓ અહીં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણવા માટે આવે છે. રેલવે લાઇન ગામની મધ્યમાંથી પસાર થતી હોવાથી આ વિદ્યાર્થીઓ પાસે ટ્રેક ઓળંગવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ઘણીવાર ફાટક બંધ હોય ત્યારે અથવા ટ્રેન ઉભી હોય ત્યારે, વિદ્યાર્થીઓ ટ્રેનની નીચેથી કે કપલિંગ વચ્ચેથી પસાર થતા જોવા મળે છે, જે ગમે ત્યારે મોટી હોનારતમાં પરિણમી શકે છે. આ ઉપરાંત રોજગારી અને વેપાર અર્થે આવતા 4000 થી વધુ ગ્રામીણો માટે પણ આ જ મુખ્ય કનેક્ટિવિટી માર્ગ છે.

20 વર્ષની કાગળ પરની લડત અને જનરોષ

સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા 20 વર્ષથી રેલવે વિભાગ, સ્થાનિક કલેક્ટર કચેરી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને લેખિત રજૂઆતો કરી રહ્યા છે. ભૂતકાળમાં આ ટ્રેક પર અકસ્માતના કારણે અનેક માસૂમ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાય લોકો કાયમી અપંગ બન્યા છે. તેમ છતાં, પશ્ચિમ રેલવે કે રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા અહીં ફૂટ ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી કે બજેટ ફાળવવામાં આવ્યું નથી. સ્થાનિક લોકો હવે આક્રોશ સાથે એક જ સવાલ પૂછી રહ્યા છે કે, “જો આગામી દિવસોમાં કોઈ વિદ્યાર્થી કે નિર્દોષ નાગરિક ટ્રેનની અડફેટે આવી જશે અને તેનો જીવ જશે, તો તેની જવાબદારી કોણ લેશે? રેલવે તંત્ર કે સ્થાનિક વહીવટી પ્રશાસન?” ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે બ્રિજનું કામ શરૂ નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન અને ચક્કાજામ કરશે.

આ પણ વાંચો: Gandhinagar: ગુજરાતના બાળકોને મળશે રસીકરણનું સુરક્ષા કવચ! 36 લાખ બાળકોને સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક

  • Follow us on: