ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના નવજાત અને નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા તથા બાળ મૃત્યુદરમાં ઘટાડો લાવવાના ઉદ્દેશ્ય સાથે આજથી રાજ્યવ્યાપી રસીકરણ ઝુંબેશનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંગે મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન આપતા રાજ્યના આરોગ્ય મંત્રીએ તમામ વાલીઓને પોતાના બાળકોને અચૂક રસી અપાવવા માટે આગ્રહભરી વિનંતી કરી છે.
36 લાખ બાળકો પર સીધું ફોકસ
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષના વાર્ષિક રસીકરણ કેલેન્ડર મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને કોર્પોરેશન વિસ્તારોમાં થઈને કુલ ૩૬ લાખ બાળકોને આ ડ્રાઇવ અંતર્ગત આવરી લેવામાં આવશે. મેડિકલ સાયન્સના આધારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, બાળપણમાં આપવામાં આવતી બીસીજી, ઓરી, રૂબેલા અને પોલિયો જેવી રસીઓ આપવાથી બાળકોને ભવિષ્યમાં થનારા અપંગતા કે મૃત્યુ તરફ દોરી જતા ગંભીર રોગો લાગુ પડતા નથી. જેવી રીતે સામૂહિક પ્રયાસો અને રસીકરણના કારણે આજે ભારતમાંથી પોલિયો જેવી ગંભીર બીમારી જડમૂળમાંથી નાબૂદ થઈ શકી છે, તેવી જ રીતે અન્ય રોગોને પણ ડામી દેવાનો સરકારનો સંકલ્પ છે.










