દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ છે. ગરબાડા ખાતે નીકળેલી શિવજીની શોભાયાત્રામાં મંડળી દ્વારા જ્યારે અગ્નિના કરતબ બતાવવાની તૈયારી કરવામાં આવી રહી હતી, ત્યારે અચાનક આગ ફાટી નીકળતા એક જોનારા વ્યક્તિનું મોત નીપજ્યું છે.


દાહોદમાં કરતબ સમયે આગ લાગતા આધેડનું મોત

મળતી માહિતી મુજબ શોભાયાત્રામાં સામેલ એક મંડળી જમીન પર આગનું વર્તુળ બનાવી કરતબ બતાવવાની તૈયારી કરી રહી હતી. આ સમયે આગ લગાવનાર વ્યક્તિના હાથમાંથી જ્વલનશીલ પદાર્થનું કેન અચાનક છૂટી ગયું હતું, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ જ સમયે શોભાયાત્રા જોવા માટે આવેલા રમણભાઈ રાઠોડને પાછળથી ધક્કો લાગતા તેઓ સીધા આગના લપેટામાં ખાબક્યા હતા.

સારવાર દરમિયાન મોત

આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા રમણભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, શરીરનો મોટો ભાગ દાઝી ગયો હોવાથી ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું છે. આ સમાચાર મળતા જ પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે અને સમગ્ર પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો: Bhavnagar: ચાર કિન્નરોએ ભંગારના વેપારી પર કર્યો હુમલો, 150 રૂપિયાની લૂંટ ચલાવી જ્ઞાતિ વિશે કર્યા અપમાનિત

  • Follow us on: