દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયાઝોલ પુલ પર આજે એક વિચિત્ર અને શરમજનક ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આવી રહેલી લીલા નારિયેળ ભરેલી એક લોડિંગ ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે, અકસ્માત બાદ ઇજાગ્રસ્તોની મદદ કરવાને બદલે સ્થાનિક લોકોમાં નારિયેળ લૂંટવાની દોડધામ મચી ગઈ હતી.
પાટીયાઝોલ પુલ પર નારિયેળ ભરેલી ટ્રક પલટી
મળતી માહિતી મુજબ, પાટીયાઝોલ પુલ પર ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રકમાં ભરેલા સેંકડો લીલા નારિયેળ રસ્તા પર વેરાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પણ ઇજાગ્રસ્ત ડ્રાઈવર કે કંડક્ટરને મદદ કરવાને બદલે લોકો જે હાથમાં આવે તે રીતે નારિયેળ લૂંટીને ભાગવા લાગ્યા હતા.
