અમદાવાદ જિલ્લાના ધંધુકામાં બનેલી ચકચારી હત્યાની ઘટનામાં પોલીસ તપાસ તેજ ગતિએ આગળ વધી રહી છે. હત્યાના બંને આરોપીઓના રિમાન્ડ દરમિયાન આજે પોલીસ દ્વારા ઘટનાસ્થળે ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તપાસનીશ અધિકારીઓ બંને આરોપીઓને સાથે રાખીને તે સ્થળે પહોંચ્યા હતા જ્યાં આ કરપીણ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.
પોલીસ છાવણીમાં ફેરવાયું ધંધુકા
ઘટનાની સંવેદનશીલતા અને લોકોના આક્રોશને જોતા, રિકન્સ્ટ્રક્શન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 50થી વધુ પોલીસકર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓના કાફલા વચ્ચે આરોપીઓને ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી એ સમજવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ કઈ દિશામાંથી આવ્યા હતા, હુમલો કેવી રીતે કર્યો અને હત્યા કર્યા બાદ કયા રસ્તેથી ફરાર થયા હતા.













