ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે અત્યારે મિશ્ર હવામાનનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં 'બેવડી ઋતુ'ની સ્થિતિ યથાવત રહેશે. ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે વહેલી સવારે અને રાત્રિના સમયે રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનો અહેસાસ થશે. જોકે, બપોરના સમયે સૂર્યપ્રકાશની તીવ્રતા વધતા મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે.

બપોરે તાપમાન 32 ડિગ્રીને પાર!

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, આગામી 48 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં ફરીથી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે, જેનાથી ઠંડીમાં સાધારણ વધારો થશે. પવનની ગતિ તેજ રહેવાને કારણે વહેલી સવારે ઠંડો પવન ફૂંકાશે, જે લોકોને ગુલાબી ઠંડીનો અનુભવ કરાવશે. આવી બેવડી ઋતુને કારણે આરોગ્ય પર વિપરીત અસર થવાની શક્યતા હોવાથી તબીબોએ પણ સાવચેત રહેવાની સલાહ આપી છે. ખાસ કરીને વડીલો અને બાળકોમાં વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધી શકે છે, તેથી બદલાતા તાપમાન સામે રક્ષણ મેળવવું જરૂરી છે.