ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ અને વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વધી રહ્યો છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અને શહેરના ટ્રાફિકને હળવો કરવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દ્વારકામાં હવે ૪.૫૦ કિમી લાંબો ફોર-લેન બાયપાસ રોડ નિર્માણ પામશે, જે યાત્રિકો અને સ્થાનિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
મુસાફરી બનશે વધુ સુગમ અને સુરક્ષિત
છેલ્લા થોડા વર્ષોમાં દ્વારકામાં પર્યટકોની સંખ્યામાં તોતિંગ વધારો થયો છે. સાંકડા રસ્તાઓ અને ટ્રાફિકની સમસ્યાથી પર્યટકોને મુક્તિ અપાવવા માટે આ ફોર-લેન રોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાયપાસ બનવાથી મુસાફરી માત્ર ઝડપી જ નહીં, પણ વધુ સુરક્ષિત પણ બનશે.
અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે રોડ
માત્ર રસ્તો જ નહીં, પરંતુ આ પ્રોજેક્ટ હેઠળ આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. રોડની બંને બાજુએ આધુનિક વોટર ડ્રેનેજ સિસ્ટમ અને મેટલ ક્રેશ બેરિયર સાથે સેફ્ટી રેલીંગની વ્યવસ્થા કરવામાં આવશે.વાહનચાલકોની સુવિધા માટે રિફ્લેક્ટિવ સાઈન બોર્ડ, ઝીબ્રા ક્રોસિંગ, સ્પીડ વોર્નિંગ સાઈન અને ટ્રાફિક કંટ્રોલ એલિમેન્ટ્સ લગાવવામાં આવશે.ફૂટપાથ અને રાત્રિના સમયે પૂરતા પ્રકાશ માટે આધુનિક સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવશે.
સૌંદર્યીકરણ પર ભાર
આ બાયપાસ રોડ દ્વારકાના પ્રવેશદ્વાર સમાન હોવાથી તેના બ્યુટીફિકેશન પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. રસ્તાની બંને બાજુએ ગ્રીન બેલ્ટ, લેન્ડસ્કેપિંગ અને મીડિયન ડેવલપમેન્ટ કરવામાં આવશે, જેનાથી પ્રવાસીઓને દ્વારકાના વૈભવની પ્રતીતિ થશે.
આ પણ વાંચો: Deesa: હાઈવે પર લોહિયાળ ખેલ, શિહોરીના ભુવાજી પર 15 શખ્સોનો જીવલેણ હુમલો