પવિત્ર યાત્રાધામ દ્વારકામાં 50 કિલો ગૌમાંસ જપ્ત થવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. આ ગંભીર મુદ્દે પ્રખ્યાત રામાયણી સંત મોરારી બાપુએ પોતાની ઊંડી સંવેદના અને રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગૌમાંસના વેચાણ જેવી ઘટનાઓ જગતગુરુ શંકરાચાર્ય અને તમામ સનાતનીઓ માટે અસહ્ય પીડા સમાન છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "જગતગુરુની પીડામાં હું પણ મારો સૂર પુરાવું છું."
ગાયને પાળવી એ આપણું પરમ કર્તવ્ય છે -મોરારી બાપુ
મોરારી બાપુએ આ તકે ગૌમાતાને રાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ સન્માન મળે તેવી વિવિધ ધર્મપીઠોની જૂની માંગને ટેકો જાહેર કર્યો હતો. તેમણે સમાજને આત્મચિંતન કરવાની શીખ આપતા જણાવ્યું હતું કે, આપણે માત્ર ગાયની પૂજા કરીએ છીએ પણ જો ખરા અર્થમાં 'ગૌપાલન' કરીએ તો આજે ગાયો રસ્તા પર રખડતી કે કતલખાને જતી ન હોત. ગાયને પાળવી એ આપણું પરમ કર્તવ્ય છે.













