ગઢડા તાલુકાના ઢસા ગામના એક ખેડૂત સાથે રોકાણના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. 'તુલસી આરાધ્યા ઇફ્રા એન્ડ હોલીડે રિસોર્ટ ઇન્ડિયા' નામની કંપનીના સંચાલકોએ ખેડૂતને આર્થિક વળતરની લાલચ આપીને તેમની સાથે વિશ્વાસઘાત આચર્યો હોવાની ફરિયાદ ઢસા પોલીસ મથકે નોંધાઈ છે.
ખેડૂત સાથે રોકાણના નામે છેતરપિંડી
ઢસા ગામના રહેવાસી ખેડૂત નરેશભાઈ ભુરાભાઈ ડાવરીયાને કંપનીના પ્રતિનિધિઓએ એક આકર્ષક સ્કીમ જણાવી હતી. આ સ્કીમ મુજબ, જો ખેડૂત કંપનીમાં ₹1,25,000 નું રોકાણ કરે, તો તેમને દર મહિને ₹10,920 ના લેખે કુલ 24 હપ્તા બેંક ખાતામાં જમા કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
લાલચમાં ફસાયા ખેડૂત
કંપનીની વાતોમાં આવી જઈને નરેશભાઈએ અલગ-અલગ તારીખે કુલ ₹19,50,000 જેવી મોટી રકમ કંપનીના બેંક ખાતામાં જમા કરાવી દીધી હતી. જોકે, બદલામાં કંપની તરફથી તેમને માત્ર ₹1.96 લાખ જેટલી જ રકમ પરત મળી હતી. લાંબો સમય વીતવા છતાં બાકીના ₹17.53 લાખ પરત ન મળતા નરેશભાઈને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો.
પોલીસ ફરિયાદ
ઠગાઈનો ભોગ બનેલા ખેડૂતે આખરે કંપનીના માલિક કિશોરસિંહ રૂપસિંહ રાઠોડ અને મેનેજર વિનોદભાઈ પાટીલ વિરુદ્ધ ઢસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Vadodara: બાપોદમાં યુવતીને ઘરે બોલાવી આચર્યું દુષ્કર્મ, ફરિયાદના આધારે તપાસ શરૂ