ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ કડજોદરા ગામમાં જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે ભયાનક મારામારી થતા મામલો લોહિયાળ બન્યો છે. આ હિંસક અથડામણમાં એક વૃદ્ધ વકીલનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઠપકો આપવા જેવી બાબતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું
મળતી માહિતી મુજબ, કડજોદરા ગામમાં બે પરિવારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી જૂની અદાવત ચાલતી હતી. આ દરમિયાન એક પક્ષના પરિવારે બીજા પક્ષને કોઈ બાબતે ઠપકો આપ્યો હતો. આ સામાન્ય વાતમાં મામલો એટલો બિચક્યો કે બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા. જોતજોતામાં લાકડીઓ અને ગડદાપાટું વડે એકબીજા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.










