ગાંધીનગરના શેરથા નજીક અકસ્માત સર્જાયો હતો. કલોલથી અડાલજ હનુમાન દાદાના દર્શને જઈ રહેલા દંપતીની કાર પર એક આઈશર ટેમ્પો પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારમાં સવાર મહિલાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમના પતિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
દર્શન કરવા જતાં કાળનો પંજો પડ્યો
મળતી માહિતી મુજબ, કલોલના વતની પતિ-પત્ની રવિવારની રજામાં અડાલજ ખાતે હનુમાન દાદાના દર્શન કરવા માટે નીકળ્યા હતા. દરમિયાન શેરથા નજીક હાઈવે પર પસાર થઈ રહેલું આઈશર અચાનક પલટી મારી ગયું હતું અને બાજુમાંથી પસાર થતી આ દંપતીની કાર પર પડ્યું હતું. આઈશર નીચે કાર દબાઈ જતાં કારમાં સવાર મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
