ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિયમ-44 હેઠળ લગ્ન નોંધણીના કાયદામાં મોટા સુધારાની જાહેરાત કરવામાં આવી છે. આ સુધારા અંતર્ગત સરકારે 30 દિવસમાં જનતા અને ધારાસભ્યો પાસેથી સૂચનો મંગાવ્યા છે. આ મુદ્દે ડેડિઆપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી દીકરીઓની સુરક્ષાને લઈને આકરા પ્રહારો કર્યા છે.
લગ્ન નોંધણીના કાયદામાં મોટા સુધારા
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, "હજારો આદિવાસી દીકરીઓની મજબૂરીનો લાભ લઈને તેમને અન્ય જ્ઞાતિઓમાં લઈ જવામાં આવે છે. ઘણીવાર 'લવ જેહાદ' જેવી વાતો કરીને દીકરીઓને લલચાવવામાં આવે છે. અમારો ઉદ્દેશ્ય છે કે અમારી દીકરીઓ સુરક્ષિત રહે અને તેમની મજબૂરીનો કોઈ ફાયદો ન ઉઠાવે."વસાવાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, આદિવાસી દીકરીઓ સાથે લગ્ન કરીને તેનો ઉપયોગ અનામત બેઠકો પર ચૂંટણી લડવા માટે અથવા આદિવાસીઓની જમીનો હડપવા માટે કરવામાં આવે છે. આ પ્રકારના 'સ્વાર્થના લગ્નો' પર કડક નિયંત્રણ આવવું જોઈએ તેવું સૂચન તેઓ સરકારને આપશે.










