રાજ્યમાં જાહેર પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા રાજ્ય પરિવહન નિગમને મોટી આર્થિક સહાય આપવામાં આવી છે. નવી બસો ખરીદવા અને મુસાફરોને વધુ સારી સુવિધા આપવા માટે છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. 1445.88 કરોડની સહાય ફાળવવામાં આવી હોવાનું સત્તાવાર માહિતીમાં જણાવાયું છે.


આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ

આ સહાયનો મુખ્ય હેતુ રાજ્યમાં બસ સેવા વધુ સુગમ બનાવવાનો તેમજ જૂની બસોને બદલીને નવી અને આધુનિક બસો સેવા માં મૂકવાનો છે. આ પગલાથી મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં એસટી પરિવહન જીવનરેખા

આ આર્થિક સહાય એસટી નિગમને આપવામાં આવી છે. રાજ્યમાં લાખો લોકો રોજિંદા મુસાફરી માટે એસટી બસ સેવા પર આધાર રાખે છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં એસટી પરિવહન જીવનરેખા સમાન માનવામાં આવે છે.

2025 દરમિયાન રૂ. 710 કરોડની વધારાની સહાય

આંકડાઓ મુજબ વર્ષ 2024 દરમિયાન નવી બસો ખરીદવા માટે રૂ. 735.88 કરોડની સહાય ફાળવવામાં આવી હતી. જ્યારે વર્ષ 2025 દરમિયાન રૂ. 710 કરોડની વધારાની સહાય આપવામાં આવી છે. આ રીતે બે વર્ષમાં કુલ રૂ. 1445.88 કરોડની સહાયથી બસોની સંખ્યા વધારવા તેમજ પરિવહન વ્યવસ્થાને આધુનિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

એસટી નિગમની સેવાઓને વધુ કાર્યક્ષમ

સરકારનું માનવું છે કે નવી બસો સેવામાં આવવાથી મુસાફરોને વધુ સુવિધા મળશે તેમજ સાથે જ એસટી નિગમની સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે પણ આ નાણાકીય સહાય મહત્વપૂર્ણ સાબિત થશે.


આ પણ વાંચો---   Gandhinagar : બાળકો, મહિલાઓ ગુમ મુદ્દે ગૃહમાં સવાલ, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઉઠાવ્યો સવાલ, 8 બાળકો હજુ મળ્યા નથી

  • Follow us on: