ગુજરાતની ભૌગોલિક ઓળખ સમાન દરિયાકિનારાને લઈને એક અત્યંત મહત્વના અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી આપણે પાઠ્યપુસ્તકોમાં ભણતા આવ્યા છીએ કે ગુજરાત પાસે 1600 કિમી લાંબો દરિયાકિનારો છે, પરંતુ ભારત સરકારના લેટેસ્ટ સર્ક્યુલર અને આધુનિક સેટેલાઈટ ડેટા મુજબ હવે આ આંકડો બદલાઈને 2340.62 કિમી નોંધાયો છે. એટલે કે ગુજરાતના દરિયાકિનારાની લંબાઈમાં અંદાજે 740 કિમીનો વધારો થયો છે.

વધારો થવાનું મુખ્ય કારણ

ગુજરાતની ભૌગોલિક ઓળખ સમાન દરિયાકિનારાને લઈને એક મોટો ખુલાસો થયો છે. તાલાલાના ધારાસભ્ય ભગા બારડ દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ, ભારત સરકારના લેટેસ્ટ સર્ક્યુલર અનુસાર ગુજરાતનો કોસ્ટ લાઇન એરિયા હવે 2340.62 કિલોમીટર છે. સવાલ એ થાય કે રાતોરાત દરિયા કિનારાની લંબાઈ અને પહોળાઈ માં વધારો થયો ક્યાંથી? નિષ્ણાંતોનું કહેવું છે કે દરિયો વધ્યો નથી, પણ આપણી જોવાની નજર બદલાઈ છે. આધુનિક હાઈ-રિઝોલ્યુશન ટેકનોલોજીના કારણે હવે નાના ક્રિક વિસ્તાર અને ટાપુઓનું પણ ચોક્કસ માપન શક્ય બન્યું છે, જે અગાઉ બાકી રહી ગયા હતા.હવે હાઈ-રિઝોલ્યુશન સેટેલાઈટ ટેકનોલોજીના કારણે આ દુર્ગમ વિસ્તારોની લંબાઈ પણ ઉમેરાતા આ મોટો તફાવત સામે આવ્યો છે.

બ્લ્યુ ઈકોનોમી અને નવી તકો

દરિયાકિનારાની લંબાઈ વધતા ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી મળતા ફંડિંગના દ્વાર ખુલશે. ઓશનોગ્રાફી નિષ્ણાતોના મતે, આનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને 'બ્લ્યુ ઈકોનોમી' ને મોટો વેગ મળશે. નવી એન્ડેમિક (સ્થાનિક) પ્રજાતિઓ મળી આવવાની શક્યતા છે, જેનાથી મરીન સંશોધન અને કોસ્ટલ એક્વાકલ્ચર ક્ષેત્રે રોજગારીની નવી તકો ઉભી થશે.

વધતી ખારાશનો ખતરો

આ ખુશીની સાથે એક ચિંતાજનક પાસું પણ છે. દક્ષિણ ગુજરાતના ઉદવાડા જેવા વિસ્તારોમાં દરિયો અંદર તરફ ધસી રહ્યો છે, જેના કારણે ફળદ્રુપ જમીન ખારી થઈ રહી છે. જમીનનું ધોવાણ વધતા સ્થાનિક ખેતી અને રહેણાંક વિસ્તારો પર સંકટ તોળાઈ રહ્યું છે. જો પર્યાવરણ અને વિકાસ વચ્ચે સંતુલન જાળવીને યોગ્ય નીતિ ઘડવામાં આવશે, તો જ આ લાંબો દરિયાકિનારો ગુજરાતની સાચી લાઈફલાઈન બની શકશે.


આ પણ વાંચો---     Ahmedabad : ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારોનો રાફડો, નિકોલ અને ઓઢવમાં ટિકિટ વાંચ્છુકોની લાંબી લાઈન