રાજ્યના વીજગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે રાજ્યનો ઊર્જા વિભાગ કટિબદ્ધ હોવાનું વિધાનસભા ગૃહમાં ઊર્જા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ફીડર વિભાજન થકી મેન્ટેનન્સ ખર્ચમાં ઘટાડો, લૉ વોલ્ટેજની સમસ્યાનું નિરાકરણ, વીજ લોસમાં ઘટાડો અને વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે છે.


ગાંધીનગર જિલ્લાના ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે

જે અંતર્ગત, તા. ૩૧/૧૨/૨૦૨૫ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં ગાંધીનગર જિલ્લાના ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે ૩૯ ફીડરનું વિભાજન કરવામાં આવ્યું છે. વર્ષ-૨૦૨૪માં ૧૪ અને વર્ષ-૨૦૨૫માં ૨૫ એમ કુલ ૩૯ ફીડરનું વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત ૧૪ ફીડર, કૂવા વીજળીકરણ યોજના હેઠળ ૨ ફીડર, જ્યારે સિસ્ટમ ઇમ્પ્રૂવમેન્ટ યોજના અંતર્ગત ૨૩ ફીડરનું વિભાજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર, ભરૂચ અને વડોદરા જિલ્લાનાં 138 ફીડરનું વિભાજન

તેમણે વધુમાં ઉમેર્યું કે વડોદરા જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ૭૨ ફીડરનું વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં સરદાર કૃષિ યોજના અંતર્ગત ૨, કૂવા વીજળીકરણ યોજના હેઠળ ૨, ઊર્જા સંરક્ષણ યોજના અંતર્ગત ૯ ફીડર અને સિસ્ટમ ઈમ્પ્રૂવમેન્ટ યોજના અંતર્ગત ૫૯ ફીડરનું વિભાજન કરવામાં આવ્યું છે. આ જ પ્રકારે, ભરૂચ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ૨૭ ફીડરોનું વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં સરદાર કૃષિ યોજના અંતર્ગત ૫, રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર યોજના હેઠળ ૯ અને સિસ્ટમ ઈમ્પ્રૂવમેન્ટ યોજના અંતર્ગત ૧૩ ફીડરનું વિભાજન કરવામાં આવ્યું હોવાનું ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું. છેલ્લાં બે વર્ષમાં ગાંધીનગર, ભરૂચ અને વડોદરા જિલ્લાનાં કુલ ૧૩૮ ફીડરનું વિભાજન કરાયું છે.


  • Follow us on: