મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનીષા વકીલના નેતૃત્વમાં રાજ્યની સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને ૦ થી ૬ વર્ષના બાળકોને પોષણક્ષમ આહાર અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના ઉમદા હેતુથી એક વિશેષ ‘WCD કવરેજ ડ્રાઈવ’ ચલાવવામાં આવી છે. જે અંતર્ગત ૫.૧૪ લાખ નવા લાભાર્થીઓને આંગણવાડીની યોજનાઓ સાથે જોડવામાં આવ્યા છે.
શહેરી વિસ્તારના 51 હજાર જેટલા લાભાર્થીઓને આંગણવાડી સાથે જોડાયા
રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના મુખ્યમંત્રીના વિઝનને સાકાર કરવાના ભાગરૂપે આ સઘન ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ ઝુંબેશ નવેમ્બર ૨૦૨૫ થી જાન્યુઆરી ૨૦૨૬ સુધી ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન સઘન પ્રયાસો હાથ ધરીને રાજ્યભરમાં કુલ ૫.૧૪ લાખ નવા લાભાર્થીઓને આંગણવાડીની વિવિધ યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા માઈક્રો-પ્લાનિંગને કારણે નોંધપાત્ર પરિણામો મળ્યા છે. જેમાં આદિવાસી વિસ્તારના ૨.૫૫ લાખથી વધુ લાભાર્થીઓ, ગ્રામીણ વિસ્તારોના ૨.૦૭ લાખથી વધુ તથા શહેરી વિસ્તારના ૫૧,૦૦૦ જેટલા લાભાર્થીઓને આંગણવાડી સાથે જોડવામાં આવ્યા છે.













