ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સનદી અધિકારીઓ અને નેતાઓ વચ્ચેનો ગજગ્રાહ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. રાજ્યના જનપ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યોની રજૂઆતોને અધિકારીઓ ઘોળીને પી જતા હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. આ વખતે આ મામલો સીધો વિધાનસભાની કમિટી સુધી પહોંચ્યો છે, જેણે વહીવટી તંત્રમાં ચાલતી આડોડાઈ સામે લાલ આંખ કરી છે.

પ્રોટોકોલના ધજાગરા: ધારાસભ્યોની જ અવગણના!

મળતી માહિતી મુજબ, અનુસૂચિત જાતિ કલ્યાણ સમિતિના તાજેતરના અહેવાલમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધારાસભ્યોએ સમિતિ સમક્ષ રજૂઆત કરી છે કે, ગાંધીનગરમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ પ્રોટોકોલનું પાલન કરતા નથી. જ્યારે પણ કોઈ લોકપ્રશ્ન કે વિકાસના કામ માટે ધારાસભ્ય અધિકારીનો સંપર્ક કરે છે, ત્યારે તેમને યોગ્ય પ્રતિસાદ મળતો નથી. ઘણીવાર ટેલિફોનિક વાતચીતમાં કે રૂબરૂ મુલાકાતમાં પણ અધિકારીઓ ઉદ્ધત વર્તન કરતા હોવાનું સામે આવ્યું છે.

સમિતિના રિપોર્ટમાં ગંભીર નોંધ

વિધાનસભાની અનુસૂચિત જાતિ કલ્યાણ સમિતિએ પોતાના રિપોર્ટમાં નોંધ્યું છે કે, લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન અને તેમની રજૂઆત સાંભળવી એ અધિકારીઓની નૈતિક અને કાયદાકીય ફરજ છે. જો ધારાસભ્યોના જ કામ ન થતા હોય અથવા તેમને સાંભળવામાં ન આવતા હોય, તો સામાન્ય જનતાની હાલત શું હશે તે એક મોટો પ્રશ્ન છે.

સરકાર માટે પણ ચિંતાનો વિષય

આ ફરિયાદ બાદ હવે સચિવાલયના ગલિયારાઓમાં ગણગણાટ શરૂ થયો છે. વિધાનસભાની કમિટીના રિપોર્ટમાં આ રીતે ઉલ્લેખ થવો તે બાબત સરકાર માટે પણ ચિંતાનો વિષય બની શકે છે. આગામી દિવસોમાં આ મામલે સરકાર દ્વારા અધિકારીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.


આ પણ વાંચો----    Gandhinagar : રાજ્યમાં નવા વીજ દરની જાહેરાત, સ્માર્ટ મીટર ધારકો અને દિવસના વપરાશકર્તાઓને થશે મોટો ફાયદો