રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન મધરાતે સેક્ટર-11 સ્થિત રામકથા મેદાનમાં યોજાયું હતું. કડકડતી ઠંડી વચ્ચે યોજાયેલા આ સંમેલનમાં રાજ્યભરના મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા. સમાજના ઉજ્જવળ ભવિષ્યના હેતુસર આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે આગેવાનો દ્વારા વિશેષ અપીલ

સંમેલનમાં ઠાકોર સમાજે પોતાનું બંધારણ બનાવ્યું હોવાનું જાહેર કરી તેને પાળવાની પ્રતિજ્ઞા લેવાઈ હતી. સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે આગેવાનો દ્વારા વિશેષ અપીલ કરવામાં આવી હતી.

સમાજમાં પરિવર્તનની લહેર નહીં પરંતુ વાવાઝોડું આવ્યું

આ સંમેલનમાં સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, સમાજમાં પરિવર્તનની લહેર નહીં પરંતુ વાવાઝોડું આવ્યું છે. જ્યારે ગુજરાત નિંદ્રાધીન છે ત્યારે ગાંધીનગરના આ દ્રશ્યો ઘણું કહી જાય છે. તેમણે કહ્યું કે, 100 કરોડના ખર્ચે બનનારી આ કોઈ ઇમારત નથી, પરંતુ આ ક્ષત્રિય સમાજનો મજબૂત પાયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા અડધી કિંમતે જમીન ફાળવવાની મંજૂરી આપવામાં આવી છે અને 10 વર્ષના બાળકોના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે.

વ્યસન, નિરક્ષરતા, અંધશ્રદ્ધા સામે લડવાનો સંકલ્પ કરો

સંમેલનમાં ઉપસ્થિત રહેલા ગેનીબેન ઠાકોરે સમાજને સંબોધતાં કહ્યું કે, વ્યસન, નિરક્ષરતા અને અંધશ્રદ્ધા સામે લડવાનો સંકલ્પ આજે કરવાની જરૂર છે. આ પરિબળો સમાજને આગળ વધતાં અટકાવે છે તે સૌ જાણે છે. તેમણે ઉમેર્યું કે, અન્યાય સહન કરવા છતાં સમાજે સતત સંઘર્ષ કર્યો છે.”

સમાજના યુવાનોએ IAS, IPS જેવા સપના જોવા જોઈએ

શિક્ષણ વિષય પર ભાર મૂકતાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, માંગ પ્રમાણે શિક્ષણ ન મળશે તો હોદ્દા પ્રમાણે નોકરી નહીં મળે. માત્ર પટાવાળા કે સિક્યુરિટીની નોકરીથી આગળ વધવું પડશે. હવે સમાજના યુવાનોએ IAS, IPS જેવા સપના જોવા જોઈએ. તેમણે જણાવ્યું કે, આજે સમગ્ર સમાજે એકતાના દર્શન કરાવ્યા છે.

બાળ લગ્નથી તંદુરસ્ત પેઢીનું નિર્માણ થતું નથી

કડકડતી ઠંડી અંગે ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, તમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ નહીં થવા દઈએ. બાળલગ્ન અંગે કડક સંદેશ આપતાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, બાળ લગ્નથી તંદુરસ્ત પેઢીનું નિર્માણ થતું નથી. સંકલ્પ કરીએ કે ધોરણ-12 પહેલાં કોઈ લગ્ન નહીં કરાવીએ.

દીકરી કે દીકરો ભણેલા હશે તો સ્વમાનભેર જીવન જીવી શકશે

તેમણે હોસ્ટેલ અને સમાજ ભવનના નિર્માણ માટે સામૂહિક સંકલ્પ કરવાની અપીલ કરી હતી. દીકરી કે દીકરો ભણેલા હશે તો સ્વમાનભેર જીવન જીવી શકશે તેમ તેમણે ઉમેર્યું હતું. ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓએ સામાજિક બંધારણ બનાવ્યું હોવાનું જણાવતાં તેમણે આ પ્રકારનું બંધારણ સમગ્ર ગુજરાતમાં વિસ્તાર પ્રમાણે બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

એક સમાજ, એક રિવાજ – શ્રેષ્ઠ રિવાજ માટે એક થજો

અંતમાં તેમણે “એક સમાજ, એક રિવાજ – શ્રેષ્ઠ રિવાજ માટે એક થજો” નો નારો આપ્યો હતો..


આ પણ વાંચો----    Gujarat weather : રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો અહેસાસ, નલિયામાં 9 ડિગ્રી