ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે જ ભારે હોબાળો અને રાજકીય નિવેદનબાજી જોવા મળી હતી. રાજ્યપાલના સંબોધન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ જનતાના સળગતા પ્રશ્નો ઉઠાવી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે હોબાળો
ગૃહમાં રાજ્યપાલના ભાષણ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષે મુખ્યત્વે ખેડૂતોના દેવા માફ કરવા અને સરકારી વિભાગોમાં ચાલતું આઉટસોર્સિંગ બંધ કરી કાયમી ભરતી કરવાની ઉગ્ર માંગ કરી હતી. વિપક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સરકાર સામાન્ય જનતા અને ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે ઉદાસીન છે.
ઉપાધ્યક્ષ પદ માટે જંગ
લાંબા સમય બાદ વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદની ચૂંટણી યોજાઈ રહી છે. કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનાર શૈલેષ પરમારે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને આપવાની સંસદીય પરંપરા રહી છે, પરંતુ ભાજપે આ પરંપરા તોડી છે. ભાજપ બહુમતીના જોરે લોકશાહીનું ગળું ઘોંટી રહ્યું છે." તેમણે વધુમાં ઉમેર્યું કે જાહેર હિસાબ સમિતિ (PAC) માં પણ વિપક્ષને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી.
લોકશાહીના મૂલ્યો જળવાય તે જરૂરી
ચૂંટણીના આ જંગમાં આમ આદમી પાર્ટીએ અલિપ્ત રહેવાનો નિર્ણય કર્યો છે. ‘આપ’ના નેતા ચૈતર વસાવાએ સ્પષ્ટ કર્યું હતું કે, "પરિણામ શું આવવાનું છે તે બધા જાણે છે. કોંગ્રેસે અમારી પાસે કોઈ ટેકો માંગ્યો નથી. જો કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તો અમારું નામ ખોટું ખરાબ થાય, તેથી અમે આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ નહીં લઈએ." ચૈતર વસાવાએ વધુમાં કટાક્ષ કર્યો હતો કે લોકશાહીના મૂલ્યો જળવાય તે જરૂરી છે.
આ પણ વાંચો: Palanpur: ગુજરાત બાર કાઉન્સિલ ચૂંટણી, પાલનપુરના ત્રણ વકીલોએ ઉમેદવારી નોંધાવતા ઉત્તર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો