ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના સંચાલનને વધુ સુદ્રઢ કરવા માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. અગાઉ 17 જાન્યુઆરીના રોજ મુખ્યશિક્ષકનો ચાર્જ સોંપવા અંગે જાહેર કરાયેલા પરિપત્રમાં કેટલીક વહીવટી વિસંગતતાઓ અને ક્ષતિઓ સામે આવી હતી. આ ક્ષતિઓને તાત્કાલિક અસરથી દૂર કરવા માટે જૂનો પરિપત્ર રદ કરીને સંપૂર્ણપણે નવા નીતિ-નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે શાળાઓમાં HTAT (Head Teacher Aptitude Test) પાસ મુખ્યશિક્ષકનું મહેકમ મંજૂર નથી, ત્યાં વહીવટ કેવી રીતે ચલાવવો તેની સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે.


15 કિલોમીટરની ત્રિજ્યાનો નવો નિયમ અને ટાઈમ-ટેબલ

નવા નિયમો અનુસાર, શાળાના સૌથી શ્રેયાન અને અનુભવી શિક્ષકને જ મુખ્યશિક્ષક તરીકેની વહીવટી જવાબદારી સોંપવામાં આવશે. જો કોઈ વિસ્તારમાં મુખ્યશિક્ષકની જગ્યા લાંબા સમયથી ખાલી હોય, તો નજીકની શાળામાંથી ચાર્જ સોંપવા માટે ૧૫ કિલોમીટરની ત્રિજ્યાનો નવો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી મોટી શાળાઓને વહીવટી કામગીરીમાં અગ્રતા આપવામાં આવશે. આ ઉપરાંત, જે શિક્ષકોને બે શાળાઓની જવાબદારી સંભાળવાની થશે, તેમના શૈક્ષણિક કાર્ય પર અસર ન પડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા એક વિશેષ ટાઈમ-ટેબલ (સમયપત્રક) પણ તૈયાર કરવામાં આવ્યું છે.

દિવ્યાંગોને રાહત, ઇનકાર કરનાર સામે કાર્યવાહી

શિક્ષણ વિભાગે આ પરિપત્રમાં માનવીય અભિગમ અપનાવતા દિવ્યાંગ શિક્ષકોને વહીવટી દોડધામથી બચાવવા માટે વિશેષ રાહત અને નિયમોમાં છૂટછાટ આપી છે. જોકે, અન્ય સામાન્ય શિક્ષકો માટે નિયમો કડક બનાવવામાં આવ્યા છે. જો કોઈ નિયુક્ત શિક્ષક મુખ્યશિક્ષકનો ચાર્જ લેવાનો ઇનકાર કરશે, તો તેમની સામે વહીવટી સ્તરે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ચાર્જ સંભાળવા બદલ શિક્ષકોને નિયત નાણાકીય લાભ અને ખાસ ભથ્થાં ચૂકવવામાં આવશે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર વહીવટી વ્યવસ્થા હોવાથી, ઇન્ચાર્જ તરીકે બજાવેલી સેવાને ભવિષ્યમાં કાયમી બઢતી (પ્રમોશન) કે બદલીના કિસ્સામાં સિનિયોરિટી તરીકે માન્ય રાખવામાં આવશે નહીં. આ વ્યવસ્થા દર વર્ષે ઉનાળુ વેકેશન શરૂ થાય તે પહેલાં આપોઆપ ચાર્જ મુક્ત ગણાશે.

આ પણ વાંચો: Surat: સાયણની ‘કૈલાશ સિન્થેટિક’ કાપડ ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે

  • Follow us on: