ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગે કમર કસી છે. ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી આયોગ દ્વારા રાજ્યના 34 ઉચ્ચ વહીવટી અધિકારીઓને વિવિધ જિલ્લાઓ માટે ચૂંટણી નિરીક્ષક (Election Observers) તરીકે નિયુક્ત કરવાનો મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. આ અધિકારીઓમાં સિનિયર IAS અધિકારીઓનો પણ સમાવેશ થાય છે, જેમને અલગ-અલગ જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે.

AS અધિકારીઓને મહત્વની જવાબદારી

રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલ દ્વારા જાહેર કરવામાં આવેલા હુકમ અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લાની જવાબદારી અવંતીકા સિંઘ ઔલખને સોંપવામાં આવી છે. તેવી જ રીતે, સુરત માટે ડૉ. વિનોદ રાવ, વડોદરા માટે લોચન સેહરા, રાજકોટ માટે આલોક કુમાર પાંડે અને ભાવનગર-બોટાદ જિલ્લા માટે કુ. આર્દ્રા અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. આ નિરીક્ષકો મતદાન મથકોની મુલાકાત લેશે, આદર્શ આચાર સંહિતાનું પાલન કરાવશે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સીધી દેખરેખ રાખશે

નિરીક્ષકોની મુખ્ય ભૂમિકા અને દેખરેખ

નિયુક્ત કરાયેલા નિરીક્ષકોને મતદાનના દિવસ સુધીનો પ્રથમ અહેવાલ અને મતગણતરી બાદનો બીજો અહેવાલ આયોગને રજૂ કરવાના રહેશે. તેઓ મતદાન મથકે પ્રવેશ કરી શકશે, ઉમેદવારોના ખર્ચના રજિસ્ટર તપાસી શકશે અને EVM મશીનોના ઉપયોગ અંગેની તાલીમનું પણ નિરીક્ષણ કરશે. આ ઉપરાંત, સંવેદનશીલ વિસ્તારોમાં મતદાન દૂષિત ન થાય તેની ખાસ તકેદારી રાખવાની જવાબદારી પણ નિરીક્ષકોના શિરે રહેશે

ગાંધીનગરમાં બ્રીફિંગ બેઠક

આ ચૂંટણી નિરીક્ષકોની કામગીરી અને માર્ગદર્શન માટે તા. 10-04-2026ના રોજ બપોરે 12:00 કલાકે ગાંધીનગર સચિવાલય ખાતે એક મહત્વની બ્રીફિંગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તમામ અધિકારીઓને ચૂંટણીલક્ષી સાહિત્ય અને જરૂરી સૂચનાઓ પૂરી પાડવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગના આ કડક પગલાથી ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.


આ પણ વાંચો - Ahmedabad News: ખેડૂતોની સ્થિતિ 100 ટકા સારી નથી,સત્તા સામે વિરોધ કરી હિત નહીં થાય : રાજુ કરપડા