77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં થવાની છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વે સવારે 9 કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલશે.રાજ્યકક્ષાની ઉજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો પણ પ્રસ્તુત કરાશે. આ રાષ્ટ્રીય પર્વની રાજ્યના વિવિધ જિલ્લાઓના તાલુકા મથકોએ જે ઉજવણી થશે તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં મકરબા ખાતે ધ્વજવંદન કરાવશે.
કેબિનેટ મંત્રીઓ અહીં ધ્વજવંદન કરાવશે
રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આ સંદર્ભમાં જાહેર કરાયેલી યાદીમાં જણાવ્યા મુજબ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, નવસારી જિલ્લાના ચિખલીમાં, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી જેતપુરમાં, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ માણસામાં, શ્રમ-રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા રાણાવાવમાં, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ ઉમરગામમાં, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનમોઢવાડિયા દાહોદ જિલ્લાના ગોવિંદગુરૂ-લિંબડીમાં, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સાબરકાંઠાના હિંમતનગરમાં,અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ધ્વજવંદન કરાવશે.
