રાજ્યમાં કુપોષણના કલંકને નાબૂદ કરવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે કમર કસી છે. રાજ્યના 0 થી 6 વર્ષના અંદાજે 5.70 લાખ કુપોષિત બાળકોને પૂરતો અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે તે માટે સરકાર હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરશે. આ માટે રૂપિયા 24 કરોડના માતબર ખર્ચે ખાસ હાઈટેક મોનિટરિંગ સિસ્ટમ વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગોડાઉનથી ઘર સુધી રેશનનું ટ્રેકિંગ
નવી સિસ્ટમ મુજબ, આંગણવાડી દ્વારા વિતરણ કરવામાં આવતા રેશનના પેકેટ પર હવે QR કોડ રાખવામાં આવશે. આ ટેકનોલોજીની મદદથી રેશનનું પેકેટ ગોડાઉનથી નીકળીને લાભાર્થીના ઘર સુધી પહોંચે ત્યાં સુધી તેને રીઅલ-ટાઇમ ટ્રેક કરી શકાશે. આનાથી વચેટિયાઓ દ્વારા થતી ગેરરીતિ અટકશે અને આહાર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા આવશે.













