લોકસભાની સાથે દેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા બંધારિણય સુધારા વિધયેક અંગે સરકારી તંત્ર, રાજકીય પક્ષો અને નિસબતકારોનો મત જાણવા સંયુક્ત સંસદીય દળ- JPC ત્રણ દિવસ ગુજરાતમાં છે. પહેલા દિવસે ગિફ્ટ સિટી ખાતે રાજ્યના ચીફ સેક્રેટરી સહિત 10 ટોચના IAS સાથેની બેઠકમાં 'વન નેશન વન ઈલેક્શન' સંબંધિત પ્રેઝન્ટેશન રજૂ થયુ હતુ. ત્રણ કલાક સુધી ચાલેલી બેઠક પછી .JPCના અધ્યક્ષ પી.પી.ચૌધરીએ એક સાથે ચૂંટણી વ્યવસ્થાથી સમય જ નહી પરંતુ ભારતની GDPમાં હકારાત્મક ફરક સાથે રૂ.7 લાખ કરોડની બચત થશે એમ કહ્યુ હતુ.
JPCએ તમામ રાજકીય પક્ષના નેતાઓને બોલાવ્યા
સ્ટેટ બ્યુરોક્રેટની મેરેથોન બેઠક બાદ બીજા દિવસે બુધવારે JPCએ તમામ રાજકીય પક્ષના નેતાઓને બોલાવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વિપક્ષના નેતા સહિતના આગેવાનો સાથે બેઠકનું આયોજન છે. ગણમાન્ય 39 સાંસદોની JPCમાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધી, રણદિપ સુરજેવાલા એમ કોંગ્રેસના બે સાંસદો જોવા મળ્યા નહોતા. રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી મનોજ દાસ, GADના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, આરોગ્યના રાજીવ ટોપનો, નાણાં વિભાગના ટી.નટરાજન, ગૃહના સંજીવ કુમાર, શ્રમ- રોજગાર અગ્રસચિવ લોચન શહેરા સહિતના 10 સેક્રેટરીઓ દ્વારા રજૂ થયેલા પ્રેઝન્ટેશન બાદ પત્રકારો સાથેની વાતચીતમાં JPC અધ્યક્ષ ચૌધરીએ કહ્યુ કે, અત્યાર સુધીમાં ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિત આઠ રાજ્યોમાં પ્રવાસ કર્યો છે.
