ગુજરાતમાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓનો વિધિવત પ્રારંભ થયો છે. લાખો વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીની આ પ્રથમ મહત્વની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે તેમનો તણાવ દૂર કરવા અને આત્મવિશ્વાસ વધારવા માટે રાજ્ય મંત્રી રિવાબા જાડેજા ગાંધીનગરની એમ. બી. પટેલ સ્કૂલ ખાતે હાજર રહ્યા હતા.

પરીક્ષા કિટ આપી વધાર્યો ઉત્સાહ

ગાંધીનગરની એમ. બી. પટેલ હાઈસ્કૂલમાં પહોંચેલા રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષા કિટ અને પુષ્પ આપીને શુભેચ્છા પાઠવી હતી. મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેમને કોઈપણ પ્રકારના ડર રાખ્યા વિના શાંત ચિત્તે પેપર લખવા માટે પ્રેરિત કર્યા હતા.

શૈક્ષણિક વાતાવરણ અને આયોજન

આ તકે રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના માનસિક ભાર વગર પરીક્ષા આપી શકે તે માટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. રાજ્યના હજારો પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા અને પારદર્શિતા સાથે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Vadodara: નોકરીએ જઈ રહેલા યુવાનોને નડ્યો અકસ્માત, એકનું ઘટનાસ્થળે મોત, ત્રણ ગંભીર ઇજાગ્રસ્ત