ગાંધીનગરમાંથી એક ચીતરી ચડે તેવી અને આરોગ્ય માટે જોખમી ઘટના પ્રકાશમાં આવી છે. ગાંધીનગરના સરગાસણ હાઇવે પર આવેલા જાણીતા 'ટેરાનોવાસ પીઝા'આઉટલેટમાં પીઝા ખાવા ગયેલા ગ્રાહકોને પીરસવામાં આવેલા પીઝામાંથી વંદો નીકળ્યો છે. આ દ્રશ્ય જોતા જ રેસ્ટોરન્ટમાં હાજર અન્ય ગ્રાહકોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

બાય વન ગેટ વન સ્કીમ પાછળ હાઇજિન ભુલાયું

ગ્રાહકોના આક્ષેપ અનુસાર, રેસ્ટોરન્ટ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે 'બાય વન ગેટ વન' (Buy 1 Get 1 Free) જેવી આકર્ષક સ્કીમો ચલાવવામાં આવે છે. આવી સ્કીમોના લીધે રેસ્ટોરન્ટમાં ગ્રાહકોનો ભારે ધસારો રહેતો હોય છે. પરંતુ કમાણી કરવાની લાલચમાં રેસ્ટોરન્ટ સંચાલકો કિચનની સફાઈ, સ્વચ્છતા (Hygiene) અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવાનું સંપૂર્ણપણે ભૂલી ગયા છે, જેનું પરિણામ ગ્રાહકોના થાળીમાં વંદા સ્વરૂપે જોવા મળ્યું છે.

ગાંધીનગર મનપાની કામગીરી સામે સવાલો

આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ગાંધીનગર મહાનગરપાલિકા (MNC) ના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે પણ મોટા સવાલો ઊભા થયા છે. સ્થાનિક નાગરિકો પૂછી રહ્યા છે કે મનપાની ટીમ માત્ર કાગળ પર જ ચેકિંગ કરે છે? આવી નામાંકિત રેસ્ટોરન્ટ્સના કિચનમાં નિયમિત તપાસ કેમ કરવામાં આવતી નથી? ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે કે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતી આવી હોટેલો અને પીઝા આઉટલેટ્સ સામે મનપાએ તાત્કાલિક કડક પગલાં ભરીને તેને સીલ કરવી જોઈએ.

આ પણ વાંચો: Rajkot: સામા કાંઠાની ભગીરથ સોસાયટીમાં દેશી દારૂ ગટગટાવ્યા બાદ બે યુવાનો ઢળી પડ્યા