ગાંધીનગરમાંથી એક ચીતરી ચડે તેવી અને આરોગ્ય માટે જોખમી ઘટના પ્રકાશમાં આવી છે. ગાંધીનગરના સરગાસણ હાઇવે પર આવેલા જાણીતા 'ટેરાનોવાસ પીઝા'આઉટલેટમાં પીઝા ખાવા ગયેલા ગ્રાહકોને પીરસવામાં આવેલા પીઝામાંથી વંદો નીકળ્યો છે. આ દ્રશ્ય જોતા જ રેસ્ટોરન્ટમાં હાજર અન્ય ગ્રાહકોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
બાય વન ગેટ વન સ્કીમ પાછળ હાઇજિન ભુલાયું
ગ્રાહકોના આક્ષેપ અનુસાર, રેસ્ટોરન્ટ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે 'બાય વન ગેટ વન' (Buy 1 Get 1 Free) જેવી આકર્ષક સ્કીમો ચલાવવામાં આવે છે. આવી સ્કીમોના લીધે રેસ્ટોરન્ટમાં ગ્રાહકોનો ભારે ધસારો રહેતો હોય છે. પરંતુ કમાણી કરવાની લાલચમાં રેસ્ટોરન્ટ સંચાલકો કિચનની સફાઈ, સ્વચ્છતા (Hygiene) અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવાનું સંપૂર્ણપણે ભૂલી ગયા છે, જેનું પરિણામ ગ્રાહકોના થાળીમાં વંદા સ્વરૂપે જોવા મળ્યું છે.
