ગાંધીનગર શહેરમાં ટાઇફોઇડના કેસોમાં થયેલા વધારાને પગલે લોકોમાં ભયનો માહોલ છે. કોંગ્રેસ દ્વારા ટાઇફોઇડના કારણે બે લોકોના મોત થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેની સામે આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) ના કમિશનર અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે સત્તાવાર ખુલાસો કર્યો છે.

તંત્રનો દાવો ટાઇફોઇડથી કોઈ મૃત્યુ નહીં

મનપા કમિશનર અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ મીતા પરીખે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ટાઇફોઇડ અથવા કોઈ એપેડેમિક (મહામારી) ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. સિવિલમાં નોંધાયેલા બે મૃત્યુના કારણો અલગ-અલગ છે અને તેને વર્તમાન રોગચાળા સાથે જોડવું યોગ્ય નથી. શહેરમાં કુલ દર્દીઓ 152 નોંધાયા છે. જેમાં  હાલ સિવિલમાં સારવાર હેઠળ 113 છે. રજા આપવામાં આવેલા દર્દીઓ 32 છે. પાણીના સેમ્પલની તપાસ 343 (તમામ સેફ) છે. લીકેજ સમારકામ 21 સ્થળોએ લીકેજ દૂર કરાયા છે. હેલ્થ સર્વેક્ષણ 75,000 લોકોનો સર્વે પૂર્ણ થયો છે.

પાણીના સેમ્પલ અને લીકેજની સ્થિતિ

શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો હોવાની આશંકા વચ્ચે મનપા દ્વારા કુલ 343 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કમિશનરના જણાવ્યા મુજબ, તમામ સેમ્પલ રિપોર્ટમાં પીવાલાયક અને 'સેફ' જણાયા છે. જે વિસ્તારોમાં પાણીની લાઈનમાં 21 જેટલા લીકેજ હોવાની માહિતી મળી હતી, તેને તાત્કાલિક ધોરણે દુરસ્ત કરી દેવામાં આવ્યા છે.

લોકોનો ડોર-ટુ-ડોર સર્વે

કોર્પોરેશનની આરોગ્ય ટીમો દ્વારા અત્યાર સુધીમાં 75 હજારથી વધુ લોકોનો ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં પણ ટાઇફોઇડના દર્દીઓ માટે અલગ વોર્ડ અને પૂરતી દવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સુપ્રિટેન્ડન્ટે ઉમેર્યું હતું.

આ પણ વાંચો: વસુધારા ડેરીની ચૂંટણીમાં મોટો આંચકો, ભાજપના મેન્ડેટનો સરેઆમ અનાદર, બળવાખોર ઉમેદવારોનો ભવ્ય વિજય