સોમનાથ સ્વાભિમાન પર્વની ઉલ્લાસમય ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો છે, સોમનાથ મહાદેવ મંદિર અને પરિસર સહિત સમગ્ર પ્રભાસ તીર્થ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે અને રંગબેરંગી કલાત્મક લાઈટો સોમનાથનો મુખ્ય માર્ગ સજવાયો છે, ત્રણ દિવસીય સ્વાભિમાન પર્વની સંધ્યાએ સોમનાથ ધામ દિવ્યતાથી ઝળહળ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાશે શૌર્ય યાત્રા અને શૌર્ય સભા.
સોમનાથ સ્વાભિમાન પર્વ અન્વયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
9 જાન્યુઆરીના રોજ રાજભા ગઢવી, કીર્તિ સાગઠીયા અને હાર્દિક દવે તથા 10 જાન્યુઆરીના રોજ હંસરાજ રઘુવંશી, બ્રીજરાજ ગઢવી અને મયુર દવે સહિતના કલાકારોના કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે આ કાર્યક્રમો નિહાળવા પધારવા સોમનાથ દર્શનાર્થે આવેલા ભાવિકો અને સોમનાથ વાસીઓને ગીર-સોમનાથ વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
મહાદેવ મંદિર પરિસરમાં ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી ડૉ. પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરિયાસહિતના મહાનુભાવો જોડાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી, જીગરદાન ગઢવી અનેઉમેશ બારોટે સોમનાથ મહાદેવની આરાધના અને ભજનો સાથે આપણી સંસ્કૃતિ, ધરોહર અને સનાતન ધર્મને સંગીતના સૂરોના તાંતણે બાંધી અહોભાવ સાથે શિવ ભક્તિમાં તરબોળ કરતા ગીતોની રમઝટ બોલાવી હતી.
ઉપસ્થિત પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની શિવ ભક્તિમાં લીન બન્યા હતા અને સંગીતમાં ઝૂમ્યા હતા
પ્રેક્ષકોએ પણ આત્મીયતાથી આ કાર્યક્રમ સાથે જોડાઈ શિવ ભક્તિના અનેક ગીતોની સાથે તાળીઓ સાથે કલાકારોના સૂરમાં સૂર પુરાવ્યો હતો. સાંઈરામ દવેએ સાહિત્યની પ્રસ્તુતિ સાથે સોમનાથ મહાદેવની સ્થાપના, વિદેશી આક્રમણો અને આપણા યોદ્ધાઓ તથા આજે પણ અડીખમ આ સોમનાથ મંદિર તથા આપણા ઐતિહાસિક ધરોહર વિશે વાત કરી હતી. કર્ણપ્રિય ગીત સંગીત, રોશનીથી દીપી ઊઠેલું મંદિર પરિસર અને નીરખી નિરખીને પણ મન ન ભરાય એવું અલૌકિક સોમનાથ જ્યોર્તિલિંગનું દેવાલય, આ ત્રિવેણી સંગમથી જાણે દિવ્ય વાતાવરણનું સર્જન થયું હતું. કલાકારોએ શિવ ભક્તિના ગીતોની સાથે ગરબાની પણ રમઝટ બોલાવી હતી.
આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં આ જગ્યાની પાણીપુરી ખાધી તો પડી શકો છો બીમાર, મનપાની ટીમે 72 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કર્યો