સોમનાથ મંદિરની ભવ્યતા અને સમૃદ્ધિ જ પ્રાચીન સમયમાં આક્રમણખોરો માટે આકર્ષણનું કારણ બની હતી. ઈ.સ. 1025–26માં અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતના સુલતાન મહમદ ગઝનવીએ સોમનાથ પર તેનું સૌથી વિનાશક આક્રમણ કર્યું હતું. તે સમયે સોમનાથ અતિ સમૃદ્ધ ધાર્મિક કેન્દ્ર હતું, જેને લૂંટવા માટે ગઝનવીએ રણપ્રદેશના કઠિન માર્ગો પાર કર્યા હતા. સ્થાનિક શાસકો અને પ્રજાએ વીરતાપૂર્વક પ્રતિકાર કર્યો, પરંતુ ગઝનીએ મંદિરને ભારે નુકસાન પહોંચાડી સંપત્તિની લૂંટ ચલાવી. તેમ છતાં, ગઝની આસ્થાને ખતમ કરવામાં નિષ્ફળ રહ્યો. તેના ગયા બાદ તુરંત જ ચૌલુક્ય (સોલંકી) શાસકોએ મંદિરનું પુનઃનિર્માણ કરી સંસ્કૃતિને જીવંત રાખી હતી.
સ્વતંત્રતા અને રાષ્ટ્રીય ગૌરવનું પુનઃસ્થાપન
ભારતની આઝાદી બાદ સોમનાથ મંદિરનું નવસર્જન એ રાષ્ટ્રીય આત્મગૌરવનો વિષય બન્યો હતો. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં મંદિરને તેના મૂળ ગૌરવ સાથે પુનઃનિર્મિત કરવાનો સંકલ્પ કર્યો. તેમના માર્ગદર્શન હેઠળ પ્રખ્યાત શિલ્પકાર પ્રભાશંકર સોમપુરાએ પરંપરાગત ચાલુક્ય શૈલીમાં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. ઈ.સ. 1951માં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે જ્યારે મંદિરનું લોકાર્પણ થયું, ત્યારે તેમણે તેને ભારતની સાંસ્કૃતિક પુનર્જાગૃતિનું પ્રતીક ગણાવ્યું હતું.













