આભને આંબતી ભવ્ય આતશબાજીથી ભાવિકો બન્યા મંત્રમુગ્ધ અને સોમનાથ સ્વાભિમાન મહોત્સવ પર્વમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. વડાપ્રધાનના આગમન સાથે સોમનાથમાં ભક્તિમય વાતાવરણ સાથે દીપોત્સવીનો માહોલ સર્જાયો હતો. વડાપ્રધાનને આવકારવા અને તેમની ઝલક મેળવવા સોમનાથવાસીઓ સહિત દેશભરમાંથી પધારેલા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.


કલાકારોએ ભાવિકોને શિવભક્તિના રંગે રંગ્યા હતા

સોમનાથના આભને આંબતી ભવ્ય આતશબાજી અને સોમનાથની ભવ્યતા, દિવ્યતા તથા અદમ્ય અનુભૂતિને વર્ણવતા ભવ્ય ડ્રોન શોએ સોમનાથવાસીઓ સહિત ઉપસ્થિત ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યોએ પણ રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને ડ્રોન શો નિહાળીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. મંદિર પરિસરમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હંસરાજ રઘુવંશી, બ્રિજરાજ ગઢવી અને મયુર દવે સહિતના કલાકારોએ ભાવિકોને શિવભક્તિના રંગે રંગ્યા હતા.

સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું

મેરા ભોલા હૈ ભંડારી'....., 'બમ બમ ભોલે બમ બમ ભોલે રે'.....,'એસા ડમરુ બજાયા ભોલેનાથ ને'....., 'શંભુ રે મહાદેવ શંભુ રે મહાદેવ'....., સહિતના શિવભક્તિ ગીતો, લોકગીતો અને પ્રસ્તુતિઓએ સોમનાથ અને શિવના સામંજસ્યને જીવંત કર્યું હતું. જે ગીતો પર ભાવિકોએ મન મૂકીને ડોલ્યા હતા. ડ્રોન શોમાં સોમનાથના સાહસ, સ્વાભિમાન અને સાંસ્કૃતિક વારસાને રજૂ કરતા વિવિધ દૃશ્યોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.

ભવ્ય આતશબાજીએ ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા

સ્વાભિમાન પર્વનો લોગો, તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકર, ત્રિશૂળ, ઓમ, સોમનાથને બેઠું કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા વીર હમીરજી અને અહલ્યાભાઈ હોલ્કર સહિત સોમનાથ પર આક્રમણ સાથે સંકળાયેલા દૃશ્યો, સરદાર વલ્લભભાઈ પટેલ તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બિંદુચિત્રોએ અરબી સમુદ્ર પર રંગીન આભા રચીને માહોલને શિવમય બનાવ્યો હતો. ઉપસ્થિતોએ 'હર હર મહાદેવ'ના નાદ સાથે ડ્રોન શોની પ્રસ્તુતિઓ વધાવી લીધી હતી. સાથે જ, ભવ્ય આતશબાજીએ ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.


આ પણ વાંચો : Gir Somnath SwabhimanParv : તીર્થભૂમિ સોમનાથના પથ્થરો કરે છે ગર્વભેર રણગર્જના, તામ્રપત્રો અને અભિલેખોમાં ધબકતી સનાતન સંસ્કૃતિ


  • Follow us on: