ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ચૂંટણીના પરિણામો અને પ્રક્રિયા બાદ પણ અદાવતનો દોર યથાવત્ રહ્યો છે. ગત મોડી રાત્રે યુવા ભાજપ મંત્રી નવલ ભારાવાલા પર પાંચ જેટલા શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાજકીય તણાવને પગલે પોલીસે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે.
ચૂંટણી મુદ્દે બોલાચાલી બાદ મામલો બિચક્યો
પ્રાપ્ત વિગતો મુજબ, તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણી દરમિયાન કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીની અદાવત રાખીને ગત રાત્રે પાંચ વ્યક્તિઓએ નવલ ભારાવાલાને આંતરીને તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત નવલભાઈને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં વેરાવળ સરકારી હોસ્પિટલ (સિવિલ) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
