ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. વેરાવળ પાલિકાના કમ્પોઝ યાર્ડમાં છેલ્લા બે દિવસથી લાગેલી આગને કારણે સમગ્ર વિસ્તારમાં ઝેરી ધુમાડાના ગોટેગોટા ફેલાયા છે. આ ભીષણ આગ અને ધુમાડાને લીધે ગંભીર વાયુ પ્રદૂષણ ફેલાતા સ્થાનિક રહીશો અને ખેડૂતોના જન આરોગ્ય પર મોટો ખતરો ઉભો થયો છે.
ખેતીના પાકને મોટું નુકસાન
કમ્પોઝ યાર્ડની આસપાસ રહેતા 50થી વધુ ખેડૂત પરિવારો આ પ્રદૂષણનો ભોગ બન્યા છે. આગની ઝપેટમાં આવતા ખેડૂતોની અનેક નારિયેળીઓ બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાના અહેવાલ છે. ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતા બાળકો અને વયોવૃદ્ધ લોકોની હાલત કફોડી બની છે. આશ્ચર્યની વાત એ છે કે, આ યાર્ડમાં મૃત પશુઓ પણ ખુલ્લામાં નજરે પડતા હોવાથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.
પાલિકા તંત્રની ઘોર બેદરકારી
સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ આગ પાલિકા તંત્રની બેદરકારીનું પરિણામ છે. જ્યારે ખેડૂતો પોતાની રજૂઆત લઈને પાલિકાના ચીફ ઓફિસર પાસે પહોંચ્યા, ત્યારે તેમને સંતોષકારક જવાબ આપવાને બદલે ઉડાઉ જવાબ આપી રવાના કરી દેવાયા હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. તંત્રની આ નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
વાયુ પ્રદૂષણથી ગૂંગળામણ
છેલ્લા 48 કલાકથી સતત નીકળી રહેલા ઝેરી ધુમાડાએ આસપાસના રહેણાંક વિસ્તારોને બાનમાં લીધા છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ મામલે તપાસ કરે તેવી માગ ઉઠી છે. જો આગ પર તાત્કાલિક કાબૂ મેળવવામાં નહીં આવે અને પ્રદૂષણ અટકાવવામાં નહીં આવે, તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો - Gir Somnath: સરકારી અતિથિગૃહ હવે ખાનગી હાથોમાં, સોમનાથ, દ્વારકા અને અંબાજીના સર્કિટ હાઉસનું ખાનગીકરણ, ભાડાના દરો આસમાને