મધ્ય ગુજરાતની સૌથી મોટી અને મહત્વની ગણાવી શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી હાલમાં જ પ્રોફેસરોની મનમાની અને વહીવટી શિથિલતાને કારણે વિવાદોમાં ઘેરાઇ છે. યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી સ્નાતક કક્ષાની પરીક્ષાઓ બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં અંદાજે 11,000 જેટલી આન્સર સીટ તપાસ્યા વગર જ પરત મોકલી દેવામાં આવી છે.

સમયમર્યાદા વિતવા છતાં પરિણામ ગુલ

સામાન્ય રીતે યુનિવર્સિટીમાં પરીક્ષા પૂર્ણ થયાના 15 થી 20 દિવસમાં પરિણામ જાહેર કરવાનું હોય છે. જોકે આ વર્ષે સેમેસ્ટર-5 (BA, BCOM, BSC, BBA)ની પરીક્ષાઓ પૂર્ણ થયાને 45 દિવસથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં પરિણામના કોઇ ઠેકાણા નથી. આ વિલંબ પાછળનું મુખ્ય કારણ પ્રોફેસરો દ્વારા પેપર તપાસવાનો ઇનકાર છે.

પ્રોફેસરોની જીદ અને તંત્રની લાચારી

મળતી માહિતી પ્રમાણે સેલ્ફ ફાયનાન્સ કોલેજોની આન્સર સીટ ચકાસવા બાબતે પ્રોફેસરોએ નકારાત્મક વલણ અપનાવ્યુ છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે પણ એ સ્વીકાર્યુ છે કે મોટી સંખ્યામાં પેપર તપાસ્યા વગર પરત આવ્યા છે. પ્રોફેસરોની આ મનમાનીને કારણે હજારો વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષ અને કારકિર્દી પર જોખમ ઊભું થયું છે. સેમેસ્ટર-5 એ અંતિમ વર્ષનું મહત્વનું પડાવ હોવાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કડક કાર્યવાહીના સંકેત

આ મામલે યુનિવર્સિટી વહીવટી તંત્ર હવે હરકતમાં આવ્યું છે. પેપર તપાસવાનો ઈનકાર કરનારા અને આન્સર સીટ પરત મોકલનારા તમામ પ્રોફેસરો પાસે સત્તાવાર ખુલાસો માંગવામાં આવ્યો છે. જો સમયસર આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે, તો વિદ્યાર્થીઓના પરિણામમાં હજુ મોટો વિલંબ થઈ શકે છે.



  • Follow us on: