સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોનો આતંક દિન-પ્રતિદિન માઝા મૂકી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સ્થાનિક પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લાલઆંખ કરવાની મોટી-મોટી વાતો વચ્ચે પણ પરિણામ શૂન્ય સાબિત થઈ રહ્યું હોય તેમ વધુ એક નિર્દોષ યુવકે વ્યાજના વિષચક્રમાં ફસાઈને પોતાની જિંદગી ટૂંકાવી લીધી છે. હિંમતનગરના ગાંભોઈ પંથકમાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને 31 વર્ષના યુવકે ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું છે, જેને પગલે પંથકમાં અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી ગયો છે.
જંગલ વિસ્તારમાં જઈને ઝેરી દવા ગટગટાવી
મળતી માહિતી અનુસાર, હિંમતનગર ગાંભોઈ હેઠળના મોતીપુરા વિસ્તારમાં રહેતા 31 વર્ષીય મહેન્દ્રસિંહ બાલુસિંહ ચૌહાણ નામના યુવકે આ આત્મઘાતી પગલું ભર્યું હતું. મહેન્દ્રસિંહે મોતીપુરાથી દૂર ડેમાઈના જંગલ વિસ્તારમાં જઈને કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવકે દવા પીધી હોવાની જાણ થતાં જ તેને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
