સાબરકાંઠા જિલ્લાના આદિવાસી બહુલ વિસ્તાર ગણાતા વિજયનગર તાલુકાની ચિતરીયા તાલુકા પંચાયત બેઠક પર આજે પેટાચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન આ બેઠક પરથી સત્તાધારી પક્ષ ભાજપે પોતાના મજબૂત અને લોકપ્રિય મહિલા આગેવાન લીનાબેન લક્ષ્મણભાઈ નિનામાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, ગત 15 એપ્રિલે અચાનક તેમની તબિયત લથડતા ભિલોડાની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થતાં ચૂંટણી પંચના નિયમ મુજબ આ બેઠકની ચૂંટણી તાત્કાલિક અસરથી મોકૂફ (રદ) રાખવામાં આવી હતી.

ત્રણ પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ

ઉમેદવારના અવસાન બાદ આજે ફરીથી આ બેઠક જીતવા માટે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ચિતરીયા બેઠક પર મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ અને આ વિસ્તારમાં પગપેસારો કરી રહેલી ભારતીય આદિવાસી પાર્ટી (BAP) વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. આ ગ્રામ્ય બેઠક પર કુલ 4,964 જેટલા મતદારો નોંધાયેલા છે, જેઓ આજે સાંજ સુધીમાં ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમ (EVM) માં કેદ કરશે.

વહીવટી તંત્ર અને પોલીસ સજ્જ

મતદાન પ્રક્રિયાને કોઈ આંચ ન આવે તે માટે ચૂંટણી પંચ દ્વારા કડક આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર બેઠક વિસ્તારમાં ૬ જેટલા મતદાન બૂથ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં અંદાજે 30 જેટલા સરકારી ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. સંવેદનશીલ ગણાતા બૂથો પર સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ EVM મશીનોને સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં મોકલાશે અને આગામી ૨૬ મેના રોજ વિજયનગર મામલતદાર કચેરી ખાતે સવારે મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: Gandhinagar: પેટ્રોલ-ડીઝલની સંગ્રહખોરી રોકવા માત્ર વાહનની ટાંકીમાં જ ઈંધણ ભરી આપવા કડક આદેશ