જામનગરના બેડી અને બેડેશ્વર વિસ્તારમાં લાંબા સમયથી આતંકનો પર્યાય બનેલી સાયચા ગેંગની ગેરકાયદેસર રીતે વસાવેલી મિલકતોને જમીનદોસ્ત કરવાનું કામ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં સવારે જ ભારે પોલીસ કાફલા સાથે ૪ જેસીબી મશીનો ધણધણી ઉઠ્યા હતા, જેને જોઈને ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
ગુજસીટોક ગુનાનો હિસાબ ચૂકતે કરાયો
નોંધનીય છે કે, ગત 21 મે ના રોજ જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સાયચા ગેંગના મુખ્ય સૂત્રધારો સહિત 11 સાગ્રીતો વિરૂદ્ધ ગુજસીટોક જેવો કડક ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગેંગના સભ્યો લોકભોગ્ય અને સરકારી જમીનો પર બળજબરીથી કબ્જો કરી, ત્યાં પાકા બાંધકામો અને વ્યાપારી એકમો ઉભા કરીને કાળી કમાણી કરતા હતા. અગાઉ પણ આ ગેંગના કેટલાક સભ્યોના ગેરકાયદે આશરા તોડી પડાયા હતા, અને આજે તેનો બીજો તબક્કો શરૂ કરાયો છે.










