જામનગર શહેરના દિગજામ સર્કલ નજીક આવેલા હનુમાન ટેકરી સહિતના વિસ્તારોમાં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. રેલવે તંત્ર દ્વારા આ વિસ્તારના રહેણાંક મકાનો ખાલી કરવા માટે માત્ર 7 દિવસની નોટિસ ફટકારવામાં આવતા સ્થાનિક પરિવારોમાં ભારે રોષ અને ભયનો માહોલ ફાટી નીકળ્યો છે.


વર્ષો જૂના મકાનો પર બુલડોઝર ફરી વળવાની ચિંતા 

રેલવે દ્વારા જગ્યા ખાલી કરવાના આદેશ બાદ સ્થાનિકોને પોતાના વર્ષો જૂના મકાનો પર બુલડોઝર ફરી વળવાની ચિંતા સતાવી રહી છે. નોટિસ મળતા જ મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ એકત્રિત થયા હતા અને તંત્રની આ કામગીરીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લોકોનું કહેવું છે કે આટલા ટૂંકા ગાળામાં તેઓ ક્યાં જાય?

સાંસદ પૂનમબેન માડમની ખાતરી

સ્થિતિ ગંભીર બનતા સ્થાનિક લોકો પોતાની રજૂઆત લઈને જામનગરના સાંસદ પૂનમબેન માડમ પાસે પહોંચ્યા હતા. નવી દિલ્હીથી પરત ફરેલા સાંસદ સીધા જ પોતાના કાર્યાલય ખાતે પીડિતોને મળ્યા હતા અને તેમની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી હતી.રહેવાસીઓની મુશ્કેલીને ધ્યાને રાખી સાંસદે આશ્વાસન આપ્યું છે કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ વિવાદના ઉકેલ માટે આગામી 16 તારીખના રોજ જિલ્લા કલેક્ટર અને રેલવેના DRM સાથે ખાસ ચર્ચા-વિચારણા કરવામાં આવશે. 

આ પણ વાંચો: Vadodara: અટલાદરામાં ગોઝારો અકસ્માત, બેફામ થારે બાઇક સવારને કચડ્યો


  • Follow us on: