જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં આજે એક કરૂણ અને ભયાનક આગની દુર્ઘટના સર્જાઈ છે. કાલાવડના ધોરાજી રોડ પર આવેલા ઝુંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ આગમાં છ જેટલા ગરીબ પરિવારોના આશિયાના બળીને ખાખ થઈ ગયા છે, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.


બાળકોનો સમયસૂચકતાથી બચાવ

આ ઘટનાની સૌથી રાહતની વાત એ રહી કે જ્યારે આગ લાગી ત્યારે ઝુંપડામાં નાના બાળકો રમી રહ્યા હતા. આગની જ્વાળાઓ પ્રસરતા જ બાળકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ઝુંપડાની બહાર દોડી ગયા હતા. બાળકોના આ સતર્કતાભર્યા પગલાને કારણે એક મોટી હોનારત ટળી હતી અને તમામનો આબાદ બચાવ થયો હતો.

ઘરવખરી અને વાહનો બળીને ખાખ

આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે 6 ઝુંપડાઓને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આગના કારણે ઝુંપડા પાસે પાર્ક કરેલી 2 બાઈક અને 3 સાયકલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. આ ઉપરાંત, ઝુંપડામાં વસવાટ કરતા શ્રમિક પરિવારોની તમામ ઘરવખરી અને કિંમતી સામાનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

ફાયર ફાયટરે મેળવ્યો કાબૂ

આગની જાણ થતા જ કાલાવડ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ આ ગરીબ પરિવારોએ પોતાનું છત્ર ગુમાવતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


આ પણ વાંચો - Jamnagar : ખાડી દેશોમાં સર્જાયેલા યુદ્ધની અસર બ્રાસ ઉદ્યોગ ઉપર પણ પડી, 9 લાખ જેટલા એકમો હાલ મુશ્કેલીમાં


  • Follow us on: