જામનગર-રાજકોટ હાઈવે પર આવેલા ધ્રોલ તાલુકાના વાંકીયા ગામે એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા એક વૃદ્ધ દંપતીએ લાંબા સમયની શારીરિક બીમારીથી કંટાળીને એકસાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે વાંકીયા ગામ સહિત સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

 ધ્રોલમાં પતિ-પત્નીનો આપઘાત

વાંકીયા ગામે રહેતા દામજીભાઈ મુળજીભાઈ ભીમાણી (ઉં.વ. 70) અને તેમના પત્ની માનુબેન દામજીભાઈ ભીમાણી (ઉં.વ. 68) છેલ્લા ઘણા સમયથી ગંભીર બીમારીઓથી પીડાતા હતા. બીમારીના કારણે થતી પીડા સહન ન થતા, આ વૃદ્ધ દંપતીએ અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું. જ્યારે ઘરે પરિવારના અન્ય સભ્યો હાજર નહોતા, ત્યારે બંનેએ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ગળી લીધા હતા.

પરિવાર પર આભ તૂટી પડ્યું

પરિવારજનો જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે દંપતી અર્ધજાગૃત અવસ્થામાં મળી આવ્યું હતું, પરંતુ ઝેરની અસર વધુ હોવાથી બંનેનું મૃત્યુ નીપજ્યું હતું. એકસાથે ઘરના બે મોભીઓએ જીવન ટૂંકાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, દંપતી ખૂબ જ શાંત સ્વભાવનું હતું અને બીમારીના કારણે માનસિક રીતે ભાંગી પડ્યું હતું.

પોલીસ તપાસ

ઘટનાની જાણ થતા જ ધ્રોલ પોલીસ કાફલો વાંકીયા ગામે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબ્જે કરી પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. પ્રાથમિક તપાસમાં બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે, છતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Anand: હોળીની આગ ગેરેજ સુધી પ્રસરી, શેડ સહિત પાર્ક કરેલી 3 મોંઘીદાટ કાર બળીને ખાખ